Author Archives: Pinki Dalal
પંચવર્ષીય યોજના બ્રેઈન ચાઈલ્ડ કોનું હતું
આપણે ભારતીયની એક ખાસિયત છે. ઘરઆંગણાના હીરની કિંમત ન થાય જ્યાં સુધી એને વેસ્ટર્ન વર્લ્ડ સત્કારે નહીં.ભલું થજો ગૂગલનું કે એ આપણા ભારતીયો જેવું નગુણું નથી. એ તો કોઈની જન્મજયંતિ હોય કે મૃત્યુતિથિ કે પછી કોઈ યાદગાર દિન પ્રજ્ઞાવાન લોકોને તેમના કામને અંજલિ આપવાનું ચૂકતું નથી. એ પછી ગાંધીજી હોય કે ટાગોર, સરોજિની નાયડુ હોય કે ભારતની સહુ પ્રથમ લેડી ડોક્ટર ડો. અસીમા ચેટર્જી , બેગમ અખ્તર ,ઉસ્તાદ અલ્લારખાં આ તમામના ડૂડલ ગૂગલ એક દિવસ માટે મૂકી ચૂક્યું છે. એ પછી દર ભારતીય દર વર્ષની જેમ આ વખતે પણ 15મી સપ્ટેમ્બર આવી ને ગૂગલે ડૂડલે મૂક્યું પણ ભારતીયોને તો યાદ પણ નહીં હોય આ વિશ્વસરૈયા , હા, નાનપણમાં જયારે માયસોરનો વૃંદાવન ગાર્ડન જોઈને આખો ફાટી જતી ને એના આર્કિટેક્ટનું નામ સરખું ઉચ્ચારાઈ શકતું એ મોક્ષગુન્દમ વિશ્વસરૈયા..
Sir MV; 15 September 1861 – 12 April 1962)
લોકોને હવે ખાસ કરીને નવી પેઢી આ નામથી અજાણ હશે પણ એ વિચક્ષણ પ્રતિભાને એમ વિસરી શકાય નહીં.
જયારે ભારત બ્રિટિશ ઇન્ડિયા કહેવાતું એ સમયની વાત છે. રાતના ટ્રેન સેંકડો ઉતારુને લઈને દોડી રહી હતી. બોગીમાં એક નવયુવાન સૂતો હતો અને અચાનક બેઠો થઇ ગયો. હજી કોઈ કઈંક સમજે પહેલા એને ચેન ખેંચી. રેલવેમાં ચેન પુલિંગનો શું અર્થ થાય સહુને ખબર છે. ટ્રેન થંભી ગઈ. અધિકારીઓ દોડી આવ્યા . ચેન ખેંચનારે દંડ અને જેલ બંને ભોગવવા પડે. પેલા યુવાને કહ્યું કે મેં કોઈ કારણ વિના ચેનપુલિંગ નથી કર્યું . આગળ પાટામાં ક્રેક છે. ટ્રેનને અકસ્માત નડી શકે છે ને એનો અર્થ સેંકડો લોકોના મોત.
એ યુવાનને કોઈ સપનું નહોતું આવ્યું. સ્વાભાવિક છે એન્જીન ડ્રાઈવરથી લઈ ગાર્ડ ને ઉતારું ચિડાયા.પેલો યુવાન ગંભીર હતો. કહ્યું કે આમ ગુસ્સે થવાને બદલે પાટા ચેક કરો.
એ જે આત્મવિશ્વાસથી બોલ્યો એ જોઈને પાટા ચેક કરાવાયા ને સાચે એક મોટો અકસ્માત થતા બચી ગયો.
એ યુવકને કઈ રીતે જાણ થઇ કે પાટા તૂટેલા છે ? આ પ્રશ્ન સહુને થયો હતો ને જવાબ આશ્ચર્યચકિત કરી દે એવો :
ટ્રેન દોડતી હોય ત્યારે એના અવાજમાં જે લય પડઘાતો હોય તે અચાનક જ બદલાઈ ગયો હતો. એના પરથી આ યુવકને લાગ્યું કે નક્કી પાટા તૂટ્યા હોય શકે.
આ વિચક્ષણ યુવાન પાછળથી ઓળખાયો એમવીના નામે, વિશ્વપ્રસિદ્ધ આર્કિટેક્ટ મોક્ષગુન્દમ વિશ્વસ્વરૈયા .
આજથી વર્ષો પૂર્વે જયારે જે કોઈ સાઉથ ઇન્ડિયાની ટુર પર જતા એમાં બે નામ તો હોય જ. એક માયસોર પેલેસ, વૃંદાવન ગાર્ડન ને ઉટી , આ વૃંદાવન ગાર્ડન એટલે વિશ્વશવરૈયાએ બાંધેલા પહેલા ડેમની બે પ્રોડક્ટ.
માયસોર પાસે ચિક્કાબેલ્લાપુર નામના એક નાના ગામમાં તમિલ બ્રાહ્મણ કુટુંબમાં જન્મેલા એમવીના પિતા સંસ્કૃતના વિદ્વાન પણ દીકરાને મોટો થતા જોયા પહેલા જ સિધાવી ગયા. ગરીબ ઓશિયાળી માતા, પણ એમવી નસીબદાર કે કાકાએ એમના શિક્ષણમાં કચાશ ન રાખી. તેજસ્વી એમવીને નાનપણથી બનવું હતું એન્જીનીયર. પરિવાર ગરીબ , એવા પૈસા જ નહીં કે એન્જીનીયરીંગ કોલેજમાં એડમિશન લઇ શકે. એક તબક્કે પોતે આગળ ભણી શકે એ આશા એમવી ગુમાવી બેઠા હતા. એમની પાસે એકમાત્ર વિકલ્પ હતો પિતાની જેમ કર્મકાંડ કરવા, સંસ્કૃતના સ્કોલર બનવું કે પછી ગમે ત્યાંથી નાણાંનો જોગ કરવો.
વિશ્વસરૈયાનું જન્મસ્થળ , હવે ત્યાં એમની યાદમાં મ્યુઝિયમ છે.નંદી હિલ્સ પાસે બેંગ્લોરથી 40 કી.મીના અંતરે છે |
નસીબ એમની સાથે હતું , કાકા પિતાની જવાબદારી ઉપાડી લે તેવા મળ્યા. એમને એમવીને ભણાવવામાં કોઈ કસર ન છોડી છતાં ક્યાંક તો કમી રહી જતી હતી, નાણાંની. પણ એક વધુ પ્રયત્ન કરી જોયો , એમવી પોતાના જ ક્લાસમાં ભણતા વિદ્યાર્થીઓને ટ્યુશન આપતા ,ને એ પૈસા ભેગા કરી બેગ્લોરની સેન્ટ્રલ કોલેજમાં એડમિશન લીધું. પછી સ્કોલરશીપ મળતી ગઈ ને ભણતાં ગયા. નાશિકમાં સહુ પહેલી જોબ, આસિસ્ટન્ટ એન્જીનીયર તરીકે, એ પછી એમની પ્રગતિ થતી રહી.
કર્ણાટકને મૈસુર, દક્ષિણ ભારતના વિકસિત અને સમૃદ્ધ પ્રદેશ બનાવવા માટે જો કોઈએ ઉત્તમ યોગદાન આપ્યું તો એ એમવી છે.
જ્યારે ભારત સ્વતંત્ર નહોતું, તે વખતે કૃષ્ણસાગર ડેમ, ભદ્રાવતી આયર્ન એન્ડ સ્ટીલ વર્કસ, મૈસુર ચંદન તેલ અને સાબુ કારખાનું (માયસોર સેન્ડલ સોપ તો હજી એટલો જ મશહૂર છે), મૈસુર યુનિવર્સિટી, માયસોર બેન્ક જેવી સિદ્ધિઓ, એમને નામે બોલે છે એટલે તેથી જ તેમને કર્ણાટકના ભગીરથ કહેવામાં આવે છે.
માત્ર 32 ની ઉંમરે સિંધુ નદી પાણી સુક્કુર નગરને પાણી સપ્લાય માટે બનેલી એક કમિટીમાં એમને સ્થાન મળ્યું , આ માટે, એમવીએ નવી બ્લોક સિસ્ટમની શોધ કરી. તેમણે સ્ટીલના દરવાજા બાંધ્યા જે ડેમમાંથી પાણીના પ્રવાહને રોકતા હતા , તે સમયે આ એકદમ નવલ પ્રયોગ હતો , તેમની આ શોધ પર બ્રિટિશરો આફ્રિન થઇ ગયા..આજે આ સિસ્ટમનો ઉપયોગ સમગ્ર વિશ્વમાં થઈ રહ્યો છે.
આ પછી તેમને મૈસૂરના મુખ્ય ઇજનેર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. તે સમયે રાજ્યની સ્થિતિ ખૂબ ખરાબ હતી. નિરક્ષરતા, ગરીબી, બેરોજગારી, તબીબી સારવાર જેવી કોઈ વ્યવસ્થા નહોતી, સિંચાઈ માટે વરસાદના પાણી પર અને ખેતીના પરંપરાગત સાધનોનો ઉપયોગ પર આધાર રાખવો સામાન્ય હતું .આ સમસ્યાઓને ઉકેલવા માટે, એમવીએ આર્થિક પરિષદની રચના કરવાની સૂચન કર્યું. મૈસૂરમાં કૃષ્ણરાજસાગર બંધ બનાવ્યો. કૃષ્ણસાગર ડેમનું બાંધકામ થયું ત્યારે દેશમાં સિમેન્ટ બનતી નહોતી. પણ, એ બદલે મોર્ટારનો ઉપયોગ થયો છે. જે વિદેશમાં મળતી સિમેન્ટ કરતા વધુ મજબૂત હોવાનું કહેવાય છે.ઈ.સ 1912માં મૈસુરના મહારાજા દ્વારા મુખ્યમંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી .
એમવી શિક્ષણના મહત્વને સારી રીતે સમજતા હતા, લોકોની ગરીબી અને મુશ્કેલીઓનું મુખ્ય કારણ એ હતું નિરક્ષરતા . તેમના કાર્યકાળ દરમિયાન, તેમણે મૈસુર રાજ્યમાં સ્કૂલની સંખ્યા 4,500 થી વધારીને 10,500 કરી હતી. આ સાથે, વિદ્યાર્થીઓની સંખ્યા 140,000 થી 3,66,000 સુધી પહોંચી હતી. મૈસૂરમાં કન્યાઓ માટે એક અલગ છાત્રાલય અને પ્રથમ પ્રથમ ગ્રેડ કોલેજ (મહારાણી કોલેજ) ખોલવા માટે પણ એમને જ શ્રેય આપવામાં આવે છે. તે દિવસોમાં મૈસુરની તમામ કોલેજો મદ્રાસ યુનિવર્સિટી સાથે જોડાયેલી હતી. તેમના કારણે મૈસુર યુનિવર્સિટી અથક પ્રયત્નો કે જે દેશના સૌથી જૂની યુનિવર્સિટીઓ પૈકી એક સ્થાપના કરી હતી. આ ઉપરાંત, તેમણે શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા વિદેશમાં જવા માટે શિષ્યવૃત્તિની ગોઠવણ પણ કરી હતી. તેમણે કૃષિ, એન્જિનિયરિંગ અને ઔદ્યોગિક કોલેજો પણ ખોલી હતી .
એક તરફ એમવીનું સમાજમાં દબદબાભર્યું સ્થાન ને પણ કુટુંબ જીવન જુવો તો શૂન્ય. એક પત્ની લાંબી માંદગીમાં ગુજરી ગઈ, બીજીનું પણ નિધન થયું ને ત્રીજી પત્ની સાથે માનસિક સાયુજ્ય જ ન સાધી શકાયું . છતાં દૂર રહીને એક પતિની ફરજો નિભાવી હતી.
કહે છે ને કહીં કિસી કો મુક્કમલ જહાં નહીં મિલતા …
ઉદ્યોગ દેશના પ્રાણ માનવામાં આવતા એમવીએ ,1935 માં મૈસૂરમાં ઓટોમોબાઈલ અને એરક્રાફ્ટ ફેક્ટરીની આ દિશામાં કામ શરૂ કર્યું હતું. બેંગ્લોર સ્થિત હિન્દુસ્તાન એરોનોટિક્સ અને મુંબઇના પ્રીમિયર ઓટોમોબાઇલ ફેક્ટરી તેમના પ્રયાસોનું પરિણામ છે. 1947 માં, તેમણે ઓલ ઇન્ડિયા મેન્યુફેકચરિંગ એસોસિએશનના પ્રમુખ બન્યા. તેમણે ઓરિસ્સા નદીઓના પૂરમાંથી છુટકારો મેળવવા માટે એક અહેવાલ સુપરત કર્યો. આ અહેવાલના આધારે, હીરાકુંડ અને અન્ય ઘણાં ડેમ નિર્માણ થયા છે .
એમવીનો સિદ્ધાંત હતો આયોજિત રીતે કોઈ પણ કાર્યને પૂર્ણ થવું જ રહ્યું. પંચવર્ષીય યોજના વિષે હવે બધા જાણે છે પણ એ યોજનાનો આવિષ્કાર કરનાર એમ વી , જો કે આ સિદ્ધિ એમને નામે ચઢી નથી. વિશ્વમાં પંચવર્ષીય યોજના અમલી કરી રશિયાએ. 1928 માં સૌપ્રથમ વખત રશિયાએ આનું મહત્વ સમજ્યું અને પ્રથમ પાંચ વર્ષના આયોજન તૈયાર કર્યું. પરંતુ વિસ્વેશ્વરયાએ આ યોજના આઠ વર્ષ પહેલાં એટલે કે 1920 માં રીકંસ્ટ્રકટીન્ગ ઇન્ડિયા નામના પુસ્તકમાં લખી હતી . વધુમાં, 1935 માં, ભારત માટે આયોજિત અર્થતંત્ર પણ લખવામાં આવ્યું હતું. ભારતની પહેલી પંચવર્ષીય યોજના ઇ.સ 1951-56 માટે અમલમાં આવી.
એ ઉપરાંત આયોજન પર ઘણા પુસ્તક લખી રહ્યા હતા ત્યારે એમની ઉંમર હતી 98 વર્ષ, 101 વર્ષે એ નિધન પામ્યા ત્યાં સુધી એમનું કામ સતત ચાલુ હતું.
1952માં પટનાગંગા નદી પર પુલ બાંધવા સાઈટ જોવા ગયા તે વખતે એમની ઉંમર હશે 92 વર્ષ , સાઈટ પર વાહન જાય એવી સ્થિતિ નહોતી. ઉપર આકરો તાપ છતાં એ સાઈટ પર પગપાળાં પહોંચી ગયા , આ એક મિસાલ એમની નિષ્ઠાની.ઉંમર થઇ છતાં કામ કરે રાખતા એટલે કોઈએ એમને પૂછે કે તમને ઘડપણનો થાક નથી વર્તાતો ?એ વાત પર એમવી કહેતા કે ઘડપણ ટકોરા મારતું આવી તો જાય છે પણ હું કહું છું એમવી ઘરે નથી બહાર ગયા છે.
એક વાત નક્કી એ છે કે એમવી ક્યાંક વિસરાઈ ગયા છે. એમની જન્મતારીખને એન્જીનીયર ડે જાહેર કરાયો છે , સ્ટેમ્પ પણ બહાર પડી છે પણ યંગિસ્તાનના સિલેબસમાં સમાવા જોઈએ એ કામ નથી થયું .
कमाल करते है यह जलनेवालो भी , महफ़िल खुद सजाते है ,और चर्चें हमारे करते है
આજ સવારથી મિચ્છામિ દુક્કડમના મેસેજની વણઝાર હતી. આ ગણેશ ચતુર્થી અને સંવત્સરી એક જ દિવસે આવે એટલે જૈનોના ફોન જામ થઇ જાય. બધા મેસેજનો સૂર એક , બોલ્યું ચાલ્યું માફ. ફિલોસોફી અતિ ઉત્તમ, પણ વર્ષોવર્ષ આ સિલસિલો ચાલે રાખે છે. પ્રશ્ન પાયાનો એ છે કે આ મનદુઃખનું એપિસેન્ટર શું ? વિચાર કરશો તો એક જ ક્ષણમાં જવાબ મળી જશે.
રાઈટ , એ જ વાત છે.
આજકાલ થાય છે એવું કે ડિજિટલ મીડિયાને કારણે દુનિયા મુઠ્ઠીમાં આવી ગઈ છે. હજી તો ઘટના બની રહી છે ને સમાચાર માધ્યમો સુધી પહોંચે એ પહેલા FB live,twitter, Snapchat ,ઇન્સ્ટાગ્રામ આપણેને એક જ સેકન્ડમાં પહોંચાડી દે. સ્વાભાવિક છે કે આ ક્રાંતિ જોઈને જર્નાલિઝમના સીન બદલાઈ ગયા છે. હજી સ્ટોરી રિપોર્ટર સુધી પહોંચે , એ જુએ, લખે , એની વિશ્વસનીયતા જાણે એ પહેલા તો કરોડો લોકો સુધી પહોંચી ગઈ હોય. હવે બચારા પ્રચાર માધ્યમો કરે તો કરે શું ?
જેને પત્તરકારોં (હિન્દી slang) પર એવી તવાઈ લાવી મૂકી છે કે એમને રોજ જ એક્સકલુઝિવ સ્ટોરીની શોધમાં દર દર ભટકવું પડે. આ વાત માત્ર ઇન્ડિયા પૂરતી સીમિત નથી. દુનિયા આખીમાં આ જ હાલત છે. પ્રિન્ટ મીડિયાની તો વાત જ ન પૂછો , એટલે છેલ્લા કેટલાય સમયથી એડિટર પોતે જ લોકોની કુતૂહલવૃત્તિ જગાવતી ,ગોસિપ લાવવાનું કહે છે , એ પછી ફિલ્મસ્ટાર્સની હોય, રાજનેતાઓની શેરવાની બિરયાની કે લાખો રૂપિયાની પર્સની હોય પણ સ્ટોરી એવી જોઈએ જે કોફીટેબલ ટોક બને. એટલે કે એક જમાનામાં હુક્કો ગગડાવતાં ગામના ભાભુઓ ચોતરે ચર્ચા કરતા કે પછી ઓટલે ચાર ચોટલા મળીને જે કામ કરતા એ આજનું પત્રકારત્વ .
એવી સ્ટોરીઓ વિષે આમ ટીકા કરતી વાત તો લખી પણ હકીકતે વાંચવી તો સહુને ગમે. તમને,મને,એમને,સહુને.
એવી એક સ્ટોરી છપાયેલી વાંચી, સહુને ખબર છે કે લંડનમાં આજે પણ પ્રિન્ટ મીડિયાનું વર્ચસ્વ સારું છે એનું કારણ એક માત્ર ગોસિપ સ્ટોરીઝ ,ખાસ કરીને સેન્ટ જેમ્સ ,બકિંગહામ પેલેસ ને રાજઘરાણાંની ગોસિપ માટે તો એકદમ ફેમસ.
થોડા વખત પહેલા છપાયેલી એ સ્ટોરી પ્રમાણે રાજઘરાનાના એક સભ્યે પોતાનું નામ ગોપિત રાખવાની શરતે કહ્યું હતું કે નજીવા સમયમાં લોકોના દિલની રાણી બની બેસનાર ડાયેનાથી જો કોઈને જલન થતી હોય તો એની સાસુ કે, સાસરીની મહિલાઓને નહીં પતિ ચાર્લ્સને જ થતી હતી. અલબત્ત, આ કારણ પૂરતું નથી કે જેને કારણે ડાયેનાનું અપમૃત્યુ થાય પણ કહેવાનો અર્થ કે જલન , ઈર્ષા , ચચરાટ એવી ચીજ છે જે કોઈ પણ તંદુરસ્ત , પૈસાદાર, ગરીબ, માયકાંગલા, બોડી બિલ્ડર, રૂપાળા કે કદરૂપા, સ્ત્રી કે પુરુષ , નાના બાળકો કે ઉંમરલાયક વ્યક્તિ કોઈને પણ થાય.
પ્રિન્સ ચાર્લ્સને લેડી ડાયેનાની જલન થતી હતી એનું કારણ એટલું કે એ પોતે પ્રિન્સ ને ડાયેના ને હજી રાજવી ટાઇટલ મળ્યું પણ નહોતું ત્યાં તો જ્યાં જાય ત્યાં ટોળાં ઉભી કરી દેતી. આપણા અભિમાન ફિલ્મના નાયક નાયિકા જેવો ઘાટ.
આ વાત હમણાં જ વાંચી એટલે મગજ પાર તાજી હતી પણ થોડા સમય પહેલા સોફિયા લોરેનનો ઇન્ટરવ્યૂ ક્યાંક વાંચ્યો હતો.
સોફિયા લોરેન હવે 80માં પ્રવેશી ચૂક્યા છે. ગમે એટલો મેકઅપ હવે તેમની ઉંમર છુપાવવા અસમર્થ છે. એમને હમણાં કોઈએ હિમ્મત કરીને પૂછ્યું ; મેડમ , પેલા ફોટોગ્રાફનું સત્ય શું હતું આખરે?
એ વિષે પહેલા તો સમજાયું જ નહીં પણ, સોફિયા લોરેનના ગોળ ગોળ જવાબ પરથી એટલો અંદાજ આવી શકતો હતો કે સોફિયા જયારે આજથી 6 દાયકા પહેલા જયારે હોલિવૂડમાં દમામદાર માથું બની ચૂકી હતી ત્યારે પેરેમાઉન્ટ ફિલ્મે એને માટે એક જબરદસ્ત પાર્ટી આયોજિત કરેલી, જેમાં લગભગ આખા હોલીવડને નિમંત્રણ હતું .
એ સમયે એક પ્લેબોય જેવા મેગેઝીનની મોડેલ કમ બાર ડાન્સર જેની મેન્સફિલ્ડ , આ નામ મોટાભાગના લોકોને યાદ નહીં હોય કારણકે 34 વર્ષે ગુજરી જનારી આ સેક્સ બૉમ્બ લેખાતી અભિનેત્રીએ હોલીવડમાં ખાસ કઈ કર્યું નથી. પણ,તે સમયે એનો સિક્કો પડતો . સોફિયા લોરેન નંબર વન સ્ટાર હતી તો આ સેક્સ સ્ટાર હતી. એ જરા મોડી પડી. કાર્યક્રમ ચાલુ થઇ ગયો હતો. એકે જગ્યા ખાલી નહોતી. એક જ ચેર ખાલી હતી, જ્યાં સોફિયા લોરેન બેઠી હતી તે. આ જેની તો સડસડાટ ત્યાં સુધી પહોંચી ગઈ. સૅક્સબૉમ્બ હતી. વળી મોડી પડેલી એટલે આખા ઑડિયન્સનું ધ્યાન એની તરફ. એ વખતે ત્યાં હાજર કોઈ ફોટોગ્રાફરે એક આબાદ તસ્વીર મઢી લીધી . એમાં દેખાય છે સોફિયાની નીલી નીલી આંખોમાંથી વરસી રહેલી જલન.આ ફોટો એટલે બધો ચગ્યો કે વર્ષો સુધી સોફિયા જે કાર્યક્રમમાં જતી એ વિષે એને પ્રશ્ન પુછાતા રહેતા .સોફિયા પહેલા તો બચાવની ભૂમિકા હતી. પણ વિવાદ એટલો ચગ્યો કે કદી અપશબ્દો ન વાપરનાર સોફિયા લોરેને કહ્યું , અરે !! હું એના ડ્રેસ માટે ચિંતિત હતી , મને થયું કે ક્યાંક એની નીપલ મારી પ્લેટમાં ન આવી જાય.
સોફિયાની આ કમેન્ટ અક્ષરશ: અહીં ટાંકી છે. જે વિષે ફરી ઉહાપોહ હતો.
આજે જયારે જેનીને ગુજરી ગયા ને વર્ષો વીતી ગયા છે ત્યારે પણ ક્યારેક કોઈ ટીખળી પત્રકાર આ વાત ઉકેલે છે. પણ, સમય સાથે સોફિયાબેનમાં ડહાપણ આવી ગયું છે. હવે એ કહે છે એક મને આ વિષે કશું યાદ નથી. અને બીજું, કે જે પ્રશ્ન પૂછવા હોય મારા વિષે પૂછો બીજા વિષે નહીં,
અલબત્ત, જલનનું કેવું છે લાકડું આમ તો બળી ગયું છે , રાખ પણ વળી ચૂકી છે છતાં, અંદર કશુંક જલે છે. આ બે બનાવ અચાનક જ યાદ આવ્યા જલનની વાત પર. થોડા વખત પહેલા યાદ છે યુએસ પ્રેસિડેન્ટના સેલ્ફી લેતા પિક્ચર પબ્લિશ થયેલા ?
એમાં બીજું તોજોવા જેવું શું હોય ? જોવા જેવો ચહેરો તો ફર્સ્ટ લેડી મિશેલ બેનનો હતો. એ પિક્ચર અહીં શેર કર્યા છે. ગૂગલ પર સર્ચ કરશો તો ઢગલો મળશે.યાદ છે પેલા ફાટીને ધુમાડે ગયેલા નોર્થ કોરિયાના સુપ્રીમ કમાન્ડર કિમ-જોંગ-ઉન ? આ એ વ્યક્તિ છે થોડા વર્ષ પહેલા પોતાના કાકાને સજારૃપે દેહાંતદંડ તો ફરમાવ્યો પણ ક્રૂરતાની તમામ સીમા આંટી જાય તેવો. કિમ-જોંગ-ઉને પોતાના કાકાને સજા કરવા માટે તેમને નગ્ન કરી તેમની પર બાર ભૂખ્યા વરૃ જેવાં કૂતરાં છોડી દીધાં હતાં. જેને કાકાને જીવતો ફાડી ખાધો હતો. આ સમાચાર આખા વિશ્વમાં પ્રસિદ્ધ થયા પછી નોર્થ કોરિયા સરકાર તરફથી સત્તાવાર રીતે અઠવાડિયા પછી ખુલાસો કરાયો હતો કે કિમ જોંગે પોતાના કાકા જંગ સોંગ યેકને કૂતરાં દ્વારા ફાડી કઢાવી મોત નહોતું આપ્યું. બલકે દેશદ્રોહ (ભત્રીજાદ્રોહ વાંચો) માટે તેમને શૂટ કરાયા હતા.એ વખતે આ કિમ જોંગ ઉનની પત્ની રી સોલ જુની ઉંમર હશે માંડ ચોવીસ વર્ષ. બનવું હતું ગાયિકા પણ ગાયિકા બનવા પહેલાં રાજાને ગમી તે રાણી એ ન્યાયે મિસ્ટિરિયસ વુમન તરીકે રહેલી રીને કિમ જોંગ ૨૦૦૯માં પરણ્યા હતા. જ્યારે લગ્ન થયાં ત્યારે મીડિયાએ રીને સીધીસાદી, નરમ, સંસ્કારી છોકરી લેખી હતી. ૨૦૦૯થી ૨૦૧૪ એટલે કે પાંચ જ વર્ષમાં સીધીસાદી,ડાઉન ટુ અર્થ એવી આ છોકરીએ નોર્થ કોરિયાની ફર્સ્ટ લેડી તરીકે પોતાના પતિ જેવાં જ મદ અને ક્રૂરતા કેળવી લીધાં. જેનો સૌથી પહેલો ભોગ કોણ બન્યું તે તો જાહેર ન થયું પણ જ નોર્થ કોરિયાની એક સિંગરને ફર્સ્ટ લેડીના કોપના ભોગ બનવું પડયું હતું .થયું હતું એવું કે નોર્થ કોરિયાના એક તેજસ્વી પોપ ગ્રૂપની વધતી લોકચાહનાને કારણે બેન્ડના તમામ આર્ટિસ્ટ્સને ભારે માનપાન મળવાં લાગ્યાં હતાં. આ ગ્રૂપની સૌથી નાની આર્ટિસ્ટ હતી રુ. માત્ર અઢાર વર્ષની છોકરી. એની લોકપ્રિયતા સૌથી વધુ હતી અને સૌથી કમનસીબ વાત તો એ થઈ કે સુપ્રીમો કિમ જોંગ ઉનને પણ આ આર્ટિસ્ટ ભારે પ્રભાવિત કરી ગઈ. બસ, થઈ રહ્યું રાજાની કૃપાદૃષ્ટિ ને રાણીની કોપદૃષ્ટિ.
ચોવીસ વર્ષની ઉંમરે કોઈની ઈર્ષા આવી ભડકે બળી શકે? તે પ્રશ્ન આ રી-સોલ-જુને જોઈને જરૃર થાય. એણે પોતાના પતિને આર્કિષત કરી શકેલી રુને સજા ફરમાવવાનો નિર્ણય કરી લીધો ને એને પાંચ વર્ષ માટે કોન્સન્ટ્રેશન કેમ્પ (જેલ)માં મોકલી આપી. રુનો ગુનો હતો સુપ્રીમોનું ધ્યાન ખેંચાય તેવું સુંદર ગાવાનો.
ઉંમર ચોવીસ ની હોય ચાલીસની હોય કે માથે ધોળાં ડોકિયાં કરતા હોય ઈર્ષ્યા કોઈ ઉંમરનો લિહાજ ન રાખે .વાત ફર્સ્ટ લેડીની હોય કે ટ્રેનમાં માલસામાન વેચતી કોમની બહેનોની. શ્રીમંત કે શિક્ષિત કોર્પોરેટ જગતની માનુની વચ્ચે હોય કે પછી અલ્પશિક્ષિત, અભણ સ્ત્રીઓની , સ્ત્રી હોય કે પુરુષ, પતિ પત્ની હોય કે એક માને પેટે જન્મેલા સહોદરો ,ઈર્ષા, અસૂયા ચીજ જ એવી છે જેથી કોઈ વ્યક્તિ પર નથી હોતી.એ અભણ હોય, શિક્ષિત હોય, એ પૈસાપાત્ર હોય, ગરીબ હોય, એ સુંદરી હોય કે કુરૃપા. કોઈ પણ સ્ત્રી આ ચીજથી મુક્ત નથી હોતી. અલબત્ત, દરેક સ્ત્રી આ વાત સાથે અસહમત જ હોવાની. પણ, જરા પોતાની ત્વચા ખોતરીને પ્રામાણિકતાથી જુએ તો વાત પુરવાર થઈ જ જાય. આ વાત માત્ર સ્ત્રીઓને લાગુ પડે એવું પણ નહીં, પરંતુ પુરુષોમાં અપવાદરૃપ ઘણાં હોય. પ્રકૃતિવશ પુરુષોનો સ્વભાવ સ્ત્રી સ્વભાવથી જુદો પડે છે. પણ સ્ત્રી એટલે સ્ત્રી, જો તેમાં ઈર્ષા નામનું તત્ત્વ સમૂળગું હોય જ નહીં તો તેના જેનેટિક બંધારણમાં ગરબડ છે તેવું અચૂક માની લેવું.
ઉનકી સાડી મેરી કમીઝ સે સફેદ કૈસેથી લઈ સંતાનોના અભ્યાસ, પતિદેવોને પગાર, લાઇફસ્ટાઇલ કે પછી પોતાથી રાખે બીજું કોઈ આગળ નીકળી જાય એવો ભય ,તમામ વાતોમાં બે સ્ત્રી દ્વારા સરખામણી ને દેખાદેખી ન થાય તો જ નવાઈ. આ તો થઈ માનવીય સ્વભાવની મર્યાદા. આ થોડે વત્તેઓછે અંશે સ્વીકાર્ય. પણ આ ઈર્ષાની આગ જ્યારે ભડભડ થઈને તમામ સીમા વટાવી દે તેને એક પ્રકારનો મનો
રોગ કહેવાય કે નહીં ?
બે ધ વે હવે મેડિકલ સાયન્સ ઈર્ષ્યા , જલન ને એક મેન્ટલ ડિસઓર્ડર માનતું થયું છે ખરું !! દુર્ભાગ્યે એની કોઈ પીલ ઓવર ધ કાઉન્ટર મળતી નથી.
दिल से :
कमाल करते है यह जलनेवालो भी ,
महफ़िल खुद सजाते है ,और चर्चें हमारे करते है
Look Whose talking !!
ઇન્ડિયા એક બળાત્કારી દેશ છે , અહીં વસતા તમામ મારા ભાઈ બહેન બળાત્કારી છે. હું પોતે બળાત્કારી છું , આવું વાંચી ,સાંભળીને ઝાટકો લાગે ? ચોક્કસ લાગે પણ આ શબ્દ છે પાંચ વર્ષના છોકરાના જે માસૂમ છોકરો રેપ શું છે જાણતો નથી પણ એને લાગે છે કે ઈંડિયા આખો રેપિસ્ટનો દેશ છે . અને , એની માન્યતા માટે જવાબદાર છે આજનું મીડિયા , સેલફોન, વૉટ્સએપ અને માબાપ બનવા માટે નાલાયક એવી પ્રજા .
જે દિકરીઓ પાશવી બળાત્કાર અને હત્યાનો ભોગ બની છે તેમની સાથે પૂરો ન્યાય થવો જોઇએ એ સૌથી પહેલી વાત. હવે બીજી મુખ્ય વાત. અચાનક જ કાલથી ઇસ્તાનબુલથી લઈને લંડન, પાકિસ્તાન, આરબ દેશોમાં રાતોરાત ઈન્ડિયા કેવો બળાત્કારીઓનો દેશ છે તેવું લખાણવાળા ટીશટૅ પહેરેલ પિક્ચર વાઈરલ થઈ ગયા. જેનું કારણ આ અબુધ પાંચ વર્ષના બાળકની માનસિકતા ઘડાઈ રહી છે તે .
ભલા માણસ, look whos talking???
જુઓ તો ખરા કોણ બોલે છે ને કોને કહે છે ?
જે દેશમાં સ્ત્રી કરતાં ગાયની કિંમત વધુ હોય, તે દેશમાં ઇન્ડિયામાં થયેલા બનાવની ચર્ચા છે. એવા દેશમાં જ્યાં આજે પણ કારોકારીની પ્રથા કાનૂનીરીતે માન્ય છે તે પાકિસ્તાનમાં આજે ઇન્ડિયા રહેવા અયોગ્ય દેશ છે એવું મનાય છે . ભારતના જ નાગરિકોને ભારતમાં રહેવું અસુરક્ષિત લાગે છે .
જે દેશમાં લોકોએ ભારતમાં પ્રવર્તતી દશા વિષે ટીશર્ટ પહેરીને દેખાવ કર્યા હોય (અલબત્ત , એ વાસ્તવિકતા ઓછી ને ફોટોશોપ કરાયા હોય એવા વધુ લાગે છે ) ત્યાં સ્ત્રીઓની દશા જોવા જેવી છે. ટર્કીમાં સ્ત્રીઓની પરિસ્થિતિ એકદમ સારી એવી હવામાં રહેતા લોકોએ બૉસફૉરસની બીજી બાજુએ આવેલા મુખ્ય ઇસ્તંબુલ જોયું નથી. માયોપિયા મનુષ્યજાતિને મળેલી અનમોલ ભેટ છે. જેટલું જોવું હોય એટલું જ જોવાનું , ધ્યાનબહેરા, જેટલું સાંભળવું હોય એટલું જ સાંભળવાનું ને મંદબુદ્ધિ , જે સમજવું હોય તેટલું જ સમજવાનું, આગળ બુદ્ધિ ચલાવવાની નહીં કોઈ કહે તો સાંભળવાનો સમજવાનો ઇન્કાર કરી દેવો એ આપણા નાગરિકોની માનસિકતા છે , અન્યથા એવું હોય કે આ ટીશર્ટ પિક્ચર બે કલાકમાં આખા દેશમાં વાઇરલ થઇ જાય.
અચરજ એ વાતનું હ્હતું કે મને વોટ્સએપ પર સહુથી પહેલા પિક્ચર મોકલનાર એવી intelligent ફ્રેન્ડ હતી જેની બુદ્ધિ પ્રજ્ઞા , એના કામ એના ઓપન માઈન્ડ માટે મને આદર રહ્યો છે. બીજો એક એવો મિત્ર જે વિદેશમાં સતત ભ્રમણ તો કરે છે પણ એને કોઈ દેશમાં ક્યારેય બુરાઈ દેખાતી નથી, ઇન્ડિયામાં પણ નહીં . આ બંને એ મોકલેલા પિક્ચર્સ પછી એના એ પિક્ચર્સનો ઢગલો થતો ગયો , એનો અર્થ કે કોઈ નક્કી મૂવમેન્ટ ચાલી રહી હતી.
એક ટર્કી ફરી આવેલા બેન , બીજા મોસ્ટ ફેમસ એવી ટર્કીશ સીરિયલ ફરીહાના ચાહક બેન ટર્કી વિષે માને છે કે ટર્કીમાં સ્ત્રીઓને પુરુષ જેવા જ અધિકાર છે. કદાચ આ બહેનો હિસ્ટ્રીમાં ભણેલા કમાલ પાશાવાળા ટર્કીને જ સાચું માને છે. 1934માં કમાલ પાશાએ મોટા રિફોર્મેશન કાર્ય ને સ્ત્રીને સમાન દરજ્જો આપ્યો, વ્યવસાયિક રીતે પણ સ્વતંત્ર થવાનો ટેકો આપ્યો , બહુપત્નીત્વ ને ટ્રિપલ તલાકને નાબૂદ કર્યા ને દુનિયામાં એક દાખલો બેસાડ્યો જેને માટે હાજી કમાલ પાશાને લોકો યાદ કરે છે પણ હવે પાશાનું ટર્કી નથી. અત્યારના ટર્કીમાં ઓટ્ટોમાન એમ્પાયરમાં હતા તેવા જ નિયમો આવી ચુક્યા છે. ટર્કીની સ્ત્રીઓને શું પહેરવું , શું બોલવું , સમાનતાની વાતો કરવી , એ માટે ચળવળ ચલાવવી પડે છે. ઘરેલુ હિંસા અને બળાત્કારના આંક જોવા ગૂગલ હાથવગું જ છે. પણ , એમાં ટર્કીમાં કામ કરવા આવતી કુર્દિશ સ્ત્રીઓ સામે થતી ગુનાખોરી નોંધાયેલી નથી. કુર્દિસ્તાન પાયમાલ દેશ ને બેહાલ નાગરિકોનું વતન છે. ટર્કીનો નાગરિક જર્મની જવાના સપના જુએ ને કુર્દ નાગરિક ટર્કી જવાના . જોવાની ખૂબી એ છે કે પુરુષો દ્વારા પુરુષો પર, કિશોરો પર થતા બળાત્કારની તો કોઈ વાત જ નથી કરતું , ને વાત થાય છે ઇન્ડિયાની , ક્યા સીન હૈ.
બાકી વાત રહી અન્ય પાડોશી દેશોની , ત્યાં પણ આ બનાવ એવો ચગાવાયો છે કે એ લોકો પણ ઇન્ડિયામાં થઇ રહેલી સ્ત્રીઓની સ્થિતિ માટે છાતી કૂટવા બેસી ગયા છે.
આ છાતી કૂટનારાઓના દેશમાં એક પ્રથા છે , નામ છે એનું કારોકરી , અને આ કાનૂની ધોરણે અમાન્ય પણ છે છતાં આંખ આડા કાન કરીને સત્તાવાર રીતે ચાલુ રખાઈ છે.
વર્ષો પહેલા સાર્ક સમિટમાં પાકિસ્તાની તંત્રીઓ ને પત્રકારોને મળવાનું થતું ત્યારે તેમના જ મોઢે સાંભળેલી વાત છે જે બિલકુલ જાણીતી છે. એમાં કશું ગોપનીય નથી.
પાકિસ્તાનના એક માતબર અખબારના તંત્રીને મોઢે સાંભળેલો બનાવ . જે સામાન્યપણે ગ્રામ્યસ્તર પર વધુ બને છે.
બે પાડોશી , બંને વચ્ચે ભયંકર ઝગડા , રોજના . બંનેના ખેતર પણ અડોઅડ , એટલે એકની ગાય બીજાના ખેતરમાં ચરવા ઘૂસી જાય.
એક દિવસે એક પાડોશીએ ગુસ્સામાં આવીને બીજાની ગાય મારી નાખી . મામલો ગયો પંચાયતમાં .
ધોળે દિવસે ગાયને રહેંસી નાખતા લોકોએ પાડોશી અ ને જોયો હતો. આખું ગામ પાડોશી બ ને પડખે હતું . હવે ?
ગામના બુઝૂર્ગે વચ્ચેનો તોડ કાઢ્યો : બીબી તો બીજી મળશે પણ સજા કાપવા જઈશ તો ખેતર બીજા ચાઉં કરી જશે.
અને જેને ગાય મારી નાખી હતી એણે પંચાયતને કહ્યું કે હું તો ગાયને ભૂલથી મારી બેઠો , મારવો તો આ ગાયને માલિકને હતો જેને મારી સ્ત્રી સાથે નાજાયસ સંબંધ ધરાવે છે. લો બોલો !!
નિર્દોષ સ્ત્રી , જેનો કોઈ ગુનો નહોતો એની પાર લાંછન લાગ્યું એટલું પૂરતું નહોતું , ગામલોકોએ વ્યભિચારી ગણી બંનેને એટલે જેની ગાય મરી તે માણસને અને ગાય મારનારની પત્ની બંનેને કારોકરી હેઠળ સજા ફરમાવી . પથ્થર મારી મારીને મોતને ઘાટ ઉતારવા એ આ સજા , આજ સુધી ઘણા બધા દેશોમાં પાછલા બારણે ચાલે છે. વિના રોકટોક, બેધડક .
હવે કદી આ બધા માટે ઇન્ડિયન પ્રજાએ ટીશર્ટ છપાવી પહેરેલા ? ના, કારણ કે એ એમનો મામલો હતો, અહીં સુધી આવ્યો પણ નહોતો તો અચાનક આસિફાનું આ મોજું ત્યાંથી જુવાળ બની કેમ આવ્યું ?
સમજદાર કો ઈશારા કાફી હૈ !!
રાજકીય ભાખરી શેકવા કોઈ પણ હદે ઉતરી શકનાર આ ગીધડાંઓને ઓળખો તો ખરા.
આસિફાને ન્યાય મળવો જ જોઈએ , એના ગુનેગારોને સજા મેળવી જ જોઈએ પણ એમાં આ વિદેશી જુગાડ ક્યાંથી ઘુસાડ્યો ?
રાજનીતિમાં બધા દાવ પેચ માન્ય છે પણ રાષ્ટ્રને જૂગટામાં મૂકી દેવાનો દાવ કેટલો ખતરનાક અને રાષ્ટ્રવિરોઘી છે એ સમજવાની વાત છે .
છેલ્લે છેલ્લે : ભારત રહેવા માટે અસુરક્ષિત દેશ છે તેવું ઘણાં તત્વજ્ઞાનીઓને લાગે છે. માત્ર રોહિંગ્યાઓને જ આ દેશ વસવા જેવો લાગે છે એ પણ કેવી અજ્બ જેવી વાત છે.
કભી આંસુ , કભી હંસી …..
50 વર્ષની આરાધના રાત્રે સિરિયલ જોઈને બેડરૂમમાં ગઈ. પતિદેવ નસકોરાં બોલાવતાં હતા.
આરાધનાને થોડી બેચેની અકારણે જ વર્તાઈ રહી હતી પણ એવી કોઈ ગંભીર વાત ન લાગી કે તે માટે રાહુલની ઊંઘ ખરાબ કરાય. બંને વર્કિંગ. મહાનગરની દોડધામમાં રાહુલની રાત અગિયાર વાગ્યે થતી પણ સવારના પોણા છને ટકોરે ઊઠી આખો દિવસ ઘડિયાળને કાંટે ભાગતી આરાધનાની રાત એક પહેલાં ન પડે.
બીજા દિવસે ટિફિનમાં શું જશે તેની પૂર્વતૈયારીથી લઈ સ્કૂલે જતાં બંને બાળકોની સ્કૂલબેગ, યુનિફોર્મની ઈસ્ત્રી, નાસ્તાની તૈયારી… કોઈ કામનો અંત જ નહીં. પતિ થાકે, બાળકો થાકે પણ આરાધનાથી થકાય?
એવી એક રાત. લગભગ સાડા બારનો સુમાર અને આરાધનાને બેચેની વર્તાઈ રહી હતી. સોડા પીવાથી કંઈક રાહત લાગશે એમ માની સોડા પણ પીધી છતાં બેચેની ઓછી ન થાય. અચાનક ઊબકા જેવું લાગ્યું. આરાધના બાથરૂમમાં દોડી.
એક ઊલટી થઈ ગઈ. જરા રાહત લાગી.
કિચનમાં જઈ ગ્લાસ ભરી ઠંડું પાણી પીધું. બેડરૂમમાં આવી બેડ પર બેઠી ને શું થયું ખબર જ ન પડી.
બાજુમાં સૂતેલા રાહુલને પણ નહીં.
સવારે પોણા છના ટકોરે ઊઠીને રોજિંદી ઘટમાળમાં લાગી જતી આરાધના ઊઠી જ નહીં.
બાળકો પરેશાન. રાહુલને થયું આવી કેવી અશિસ્ત. પણ ત્યારે કોઈને સ્વપ્ને ખ્યાલ ન આવ્યો કે આરાધનાની આંખો ક્યારેય ન ખૂલવા બિડાઈ ગઈ હતી. ઊંઘમાં ને ઊંઘમાં જ મેસિવ કાર્ડિયાક એટેક.
અત્યાર સુધી એવું મનાતું રહ્યું છે કે પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓને હૃદયરોગની બીમારી ઓછા પ્રમાણમાં થાય છે. હવે જે આંક નોંધાઈ રહ્યા છે તે જોતાં લાગે છે કે હૃદયરોગના મામલામાં પણ સ્ત્રીઓએ પુરુષસમોવડી બનવા દોટ મૂકી છે. સ્ત્રી ખુલ્લા મનથી હસી શકતી હોય કે રડી શકતી હોય, પેટ ભરીને ગોસિપ કરી શકતી હોય કે પછી ઘડિયાળના કાંટે દોડવા સક્ષમ હોય તેમના શરીરને પણ પુરુષોને થાય તેવાં વ્યાધિ, ઉપાધિ બિલકુલ થઈ શકે છે, જેનું કારણ છે સ્ટ્રેસ. માનસિક તાણ. બલકે હવે તો એ સ્પષ્ટ થઈ રહ્યું છે કે સ્ત્રીઓ પુરુષ કરતાં વધુ તાણમય જીવન જીવે છે.
કારણમાં છે સ્ત્રીઓની આગેકૂચ. શ્રીદેવીનો કિસ્સો નજર સામે છે. હવે વૉટ્સએપ ડોકટરોનો રાફડો ફાટ્યો છે. કેટલા કલાકે પાણી પીવું? કેટલું ચાલવું , કેટલીવાર ખાવું . કેટલા કલાકે ખાવું શું ખાવું શું ન ખાવું અને હા, દિવસમાં કેટલીવાર હસવું , કેટલીવાર ભારમુક્ત થઈને હસવું . શ્રીદેવી ડ્રિન્કની અસર હેઠળ બાથટબમાં ડૂબી ગઈ કે પછી એને 29 વાર કરાવેલી સર્જરીઓના ભાર નીચે કચડાઈ ગઈ એ બધું ક્યારેય નહીં સમજાય પણ કોઈને અટકળ ન કરી શકે ખરેખરો સ્ટ્રેસ શેનો હતો , લમ્હેં કે મિસ્ટર ઇન્ડિયાની હવાહવાઈએ ચિંગ ચાઇનીઝની એડમાં કામ કરવું પડે એ? (શક્ય છે કે આર્થિક મજબૂરી પણ હોય શકે , શક્ય છે ડૂબતી જતી ગ્લેમર પચાવી જવી એમાં જીગર જોઈએ બોસ, એ પછી આઈએએસ ઓફિસર હોય કે પછી ફિલ્મસ્ટાર , થોડા વર્ષો પહેલા દિલ્હીનાં મહિલા મુખ્યપ્રધાનને હૃદયની ધમની અને શિરા બંનેમાં બ્લોક જણાયા હોવાથી ઈમરજન્સી બાયપાસ સર્જરી કરવામાં આવી હતી. એક મુખ્યપ્રધાનતરીકે સ્ત્રી હોય કે પુરુષ તેમના સ્ટ્રેસની માત્રા તો સરખી જ હોવાની, પરંતુ સ્ત્રી સામાન્ય કારકુનીની નોકરી કરતી હોય કે શિક્ષિકાની, એના માથેની જવાબદારી વિચારીએ તો લાગે ભગવાને સ્ત્રીને ભૂલમાં બે હાથ નથી આપ્યાને ! ખરેખર તો દસ હાથ હોવા જોઈએ.
કારકિર્દીની સાથે પત્ની અને માતા તરીકેની ભૂમિકા ભજવવામાં સામાન્ય સ્ત્રીઓ કેટલી કંતાઈ જાય છે તેનો તો કોઈને વિચાર સુધ્ધાં આવતો નથી.
શ્રીદેવી લખો હૃદયમાં બિરાજમાન એક સ્ટાર હતી એટલે એટલો દેકારો થયો પણ આપણી આસપાસ આવી કેટલી ઘટનાઓ બને છે ક્યાં ધ્યાનમાં લેવાય છે.
શ્વાસ લેવામાં તકલીફ થવી, ખભા અને ગરદનના ભાગ જકડાઈ ગયા હોવાની પ્રતીતિ થવી. આ બે તો અતિશય સામાન્ય ચિહ્ન હૃદયરોગ આપે છે.
પરંતુ સામાન્ય મહિલાઓ બિચ્ચારી કામમાં એવી તો ગળાડૂબ હોય છે કે પેઈનબામ લગાવી લગાવી, શેક અને બાફ લઈ ભાર વેંઢારે જાય છે. અચાનક જ હૃદયરોગ પોતાની વિકરાળતા ફેલાવે ત્યારે ખ્યાલ આવે છે પણ ત્યારે ઘણું જ મોડું થઈ ચૂક્યું હોય છે.
અલબત્ત, આ સામે એવી દલીલ પણ થાય છે કે સ્ત્રીઓ આજકાલ શરાબ અને સિગારેટની શોખીન થઈ હોવાથી આ વ્યાધિ ઉપાધિ થાય છે પણ એ આખો તર્ક માત્ર તુક્કો છે. આજે પણ મોટાભાગની સ્ત્રીઓ સિગારેટ કે દારૂ જેવાં વ્યસનોથી મુક્ત જ છે તો પછી આ વ્યાધિની વ્યાપકતાનું કારણ શું છે?
વાસ્તવિકતા છુપાયેલી છે સુપર વિમેન સિન્ડ્રોમમાં જે રીતે શિક્ષણનો વ્યાપ વધ્યો છે તે રીતે આજે દરેક ઉંમરની સ્ત્રીને પોતે આત્મનિર્ભર છે, ટેલેન્ટેડ છે, કમાઈ શકે છે તે સાબિત કરવાની ઝંખના વત્તેઓછે અંશે હોય જ છે. જે કંઈ ખોટું પણ નથી, પરંતુ એક તરફ સક્સેસફુલ કારકિર્દી અને બીજી તરફ પરિવારની જવાબદારી.
મોટાભાગની સ્ત્રીઓ આ બે ફ્રન્ટ પર કામ તો કરે છે પણ વહેલી, મોડી પણ નિચોવાઈ જાય છે. સ્ટ્રેસ હૃદયરોગનો પહેલો સાગરીત પછી તો જુદાં જુદાં કારણો ભેગાં થતાં જાય છે.
નવાં-નવાં પરણેલાં વરઘોડિયાંઓને પોતાની કારકિર્દી માટે, તંદુરસ્ત લગ્નજીવન માટે થોડો સમય બાળકની જંજાળમાંથી મુક્તિ જોઈતી હોય છે. એવા સંજોગોમાં ફેમિલી પ્લાનિંગ માટેની જવાબદારી પણ સ્ત્રી પર આવી જાય છે. આડેધડ થતો ગર્ભનિરોધક ગોળીઓનો વપરાશ પણ હૃદયરોગને નિમંત્રણ આપે છે. ગર્ભનિરોધક ગોળી લેનાર મહિલાઓમાં કોરોનરી આર્ટરી ડિસીઝ (સીએડી)નું પ્રમાણ અન્ય મહિલાની સરખામણીમાં દસ ગણું અધિક વધી જાય છે. કદાચ આ જ કારણ છે કે હવે તો ત્રીસીમાં પ્રવેશેલી સ્ત્રીઓ પણ હૃદયસંબંધી રોગનો ભોગ બને છે. હવે કાર્ડિયાક અરેસ્ટ નામનો હાઉ ઉભો થયો છે. એટલે કે હાર્ટ ફેલ્યોર ને કાર્ડિયાક અરેસ્ટ વચ્ચે પણ ફર્ક છે. જે હોય તે બારીકી તો નિષ્ણાતો જણાવે ત્યારે પણ બંનેનું પરિણામ , લક્ષણ , કારણ સરખા છે.
સૌથી મહત્ત્વની વાત આ મહિલાઓ ભૂલી જાય છે તે છે ખુશ રહેવાની વાત. ફરજને નામે, શિસ્તને નામે, આદર્શને નામે નિચોવાતી રહેતી સ્ત્રીઓને એક જ વ્યક્તિ મદદ કરી શકે છે તે છે પોતે.
થોડી બાંધછોડ, થોડું જતું કરવાની વૃત્તિ અને ‘ટેક ઈટ ઈઝી’ મંત્ર આ સિન્ડ્રોમ માટે એકમેવ કોકટેલ છે. આજકાલ તો ચિરયુવાન રહેવા માટે બોટોક્સથી લઇ જીમનું અતિશયોક્તિભર્યું વળગણ જીવલેણ નીવડી શકે છે. બોટોક્સ એક જાતનું ઝેર છે એની જાણ ટ્રીટમેન્ટ લેનારને ન ખબર હોય એ વાતમાં દમ નથી. પચાસીમાં પ્રવેશ્યા પછી ષોડશી જેવા ભરાવદાર હોઠ , નિતંબ ધરાવવાનું વળગણ ખરેખર તો એક માનસિક માંદગી છે. ચહેરા પાર એક કરચલી ન હોય એ માટે કોલોજન ઇન્જેક્શનના એવા પરિણામ આવે છે કે ક્યારેક ટ્રીટમેન્ટ લેનાર કોળિયો ભરવા માટે આખું મોઢું ન ખોલી શકે. શ્રીદેવીનું ઓરીજીનલ સ્મિત યાદ છે ? છેલ્લે છેલ્લે એનું સ્માઈલ યાદ છે? , સિલિકોન પ્લાન્ટ્સ ફૂટે તો જીવલેણ નીવડે એ પણ સૌ મહિલાઓ જાણે છે.
શ્રીદેવીના કેસમાં કદાચ આ કોસ્મેટિક સર્જરી જવાબદાર ન હોય એમ પણ માની લઈએ તો પણ સ્ટ્રેસફૂલ લાઈફસ્ટાઈલને બક્ષી ન શકાય . સુંદર દેખાવાની હોડ, સોસાયટીમાં સ્ટેટ્સ ધરાવવાની હોડ, સંતાનોના ભાવિની ચિંતા, મધ્યમવર્ગીય મહિલાઓ માટે રોજ સવારે બે છેડા ભેગા કરવાની ચિંતા .
સ્ત્રી એ સમય સાથે બે હથિયાર ગુમાવી દીધા છે. એક તો મુક્ત મને હસવાની ટેવ અને હીબકાં ને આંસુ સાથે સ્ટ્રેસ વહાવી દેવાની ટેવ.
આ સ્મિત ને આંસુ બહુ રામબાણ ઉપાય છે. એ ફરી મળી જાય તો મહિલાઓને આવતાં એટેક સામે એન્ટી ડોટ મળે. અજમાવી જોવા જેવું ખરું.
બાય ધ વે , સ્ત્રીઓ પુરુષની જેમ હંમેશ સફળ કેમ નથી હોતી?
– કારણ કે તેમની પાછળ સફળ પુરુષની (સફળતા માટે જવાબદાર હોય તેવી) સાથે હોય તેવી સ્ત્રી નથી હોતી.
સ્લીપિંગ ડ્રેગોનને હલો તો કહેવું પડે ….
1969 ટાપુના સમૂહમાં ક્યા ટાપુ પર જવું ને શું કરવું ?
વિયેતનામ તો જવાનું થાય તો ખબર પડે કે આ દેશમાં સ્થિતિ નોર્થ કોરિયા સાઉથ કોરિયા જેવી છે. બિલકુલ વિરોધાભાસી ક્લચર , વિચારધારા, ખાણીપીણી . જો એક કોઈ સામ્યતા હોય તો એ કે નોર્થ ને સાઉથ વિયેતનામ બંને પ્રજા પોતાની સરકાર માટે અતિશય નીચો મત ધરાવે છે . સરકાર તમારે માટે શું કરે છે એવું વિચારવાને બદલે તમે સરકાર માટે શું કરો છે એવું લિંકનકથન આ પ્રજાએ સાંભળ્યું નથી. પણ, સાચી વાત છે , શું કામ સાંભળે ? એક સમયે ચીનમાં હતી તેવી સખ્ત સમાજવાદી વ્યવસ્થા સાઉથ વિયેતનામમાં છે. પણ નોર્થ વિયેતનામ કદાચ એની પર પશ્ચિમી જગતની અને ખાસ કરીને સામ્યવાદમુક્ત ચીનનો પ્રભાવ વધુ છે.
કદાચ એટલે જ વિયેતનામના હો ચી મીન કરતાં હેનોઈમાં ટુરિસ્ટ વધુ દેખાય છે.
હનોઈ આમ તો છે કોઈ કેપિટલ સીટી હોય એવું જ શુષ્ક ને ઠીક ઠીક પણ એના પેગોડા , ને બજાર પ્રમાણમાં ઘણાં સારા . હેનોઈનું જો કોઈ મુખ્ય આકર્ષણ હોય તો એ છે હૅલોન્ગ બે કે પછી સ્થાનિક પ્રજાની જેમ ઉચ્ચાર કરવો હોય તો હા લોન્ગ બે , હા એકદમ લંબાવીને ગાતાં હોઈએ એમ બોલવાનો . જો કે આ પ્રજાની ભાષા ,બોલી સાંભળીયે તો સામાન્ય વાતચીત પણ ગાયન ગાઈને કરતા હોય એવી રિધમિક લાગે .
હેનોઈની વાત કરીયે તો સૌથી પહેલા વાત તો એના પેગોડાની કરવી પડે પણ અહીં તો વાત જલસાઘરની કરવી છે, આજે વાત મોજની ફરી ક્યારેક વાત પેગોડાની, અલબત્ત એ જોવામાં જલસો તો પડે પણ થાકીને ઠૂસ થઇ જવાય એમ પણ બને.
આજે વાત કરવી છે હાલોન્ગ બે વિષે . હાલોન્ગ બે જવા માટે પૂરા છ કલાક બસમાં પ્રવાસ કરવો પડે. હનોઈ શહેરથી લગભગ 180 કે 200 કિલોમીટર દૂર છે. જો કે સરસ રસ્તા , સારી બસ કે કાર હોય ને ફનલવિંગ ફ્રેન્ડ્ઝનો સાથ હોય તો કદાચ આ પ્રવાસ ક્યારે પૂરો થઇ જાય ખબર પણ ન પડે.
હાલોન્ગ બે સ્થિત છે ગલ્ફ ઓફ તાન્ગકિયા , તંગકિયા કે તાકિન્યા (ઉચ્ચાર હજી સમજાયો નથી) વચ્ચે . 100 કિલોમીટરની કોસ્ટલાઈન ને એરિયા લગભગ 1500 ચોરસ કિલોમીટર .
હૅલોન્ગ ખરેખર તો હા લોન્ગ , જેનો અર્થ થાય છે સૂતેલો ડ્રેગોન , એ નામ કઈ રીતે અસ્તિત્વમાં આવ્યું એ ભગવાન જાણે પણ એવું માની શકાય કે સમુદ્ર વચ્ચે , અખાતમાં જે રીતે ડુંગર ઉભા રહ્યા છે એ પરથી પણ આવ્યું હોય શકે. ને જોવાની ખૂબી એ છે કે આ બધા ડુંગર લાઇમ સ્ટોનના છે. જેની ઉપર ઘનઘોર જંગલ ઉગી ચુક્યા છે. અલબત્ત આ બધી વાતો સાંભળેલી છે , વાંચેલી છે જેમાં બધે જો ને તો મુકાયા છે. મોટાભાગના ડુંગર વચ્ચેથી નાનકડી નૌકા , કાયાક પસાર થઇ શકે છે. પણ જો અડધા દિવસનો પ્રવાસ કરીને તમે ક્રુઝ પર ઓવરનાઈટ સ્ટે ન કરો તો વિઝીટ વ્યર્થ છે.
અમને વસવસો રહી ગયો કે અમે એક જ રાતનો સ્ટે કર્યો . જેમાં આઇલેન્ડ હૉપિંગ , કાયાકીન્ગ , પર્લ ફેક્ટરીની મુલાકાત ,એક આડવાત , પર્લ ફાર્મ એટલે કે મોટી માટે ઉછેરવામાં આવતા ઓઇસ્ટર નામના જીવની ખેતી અને મોતીને મેળવવા માટે થતી નિર્મમ હત્યા જોઈને મને નવાઈ એ વાતની લાગી કે જૈનો મોતીના વ્યાપારી કઈ રીતે હતા? એ વિષે એક આખો વિગતવાર પીઆઈએસ ટૂંક સમયમાં લખવો છે. એનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન પણ શેર કરવું છે , જે જોઈને ફક્ત દસ બહેનો હવે મોતી ન ખરીદવા એ પ્રણ લે તો સંતોષ થશે. સોરી, થોડા જ્યાદા હો ગયા.
કાશ્મીરમાં જ નહીં જ્યાં જ્યાં આવી ભૌગોલિક સ્થિતિ હોય ત્યાં સ્થાનિકો પોતાનો આર્થિક વ્યવહારનો રસ્તો કરી જ લે છે. ફળથી લઈ મોતીની માળા ને છીપ વેચવા તમારી ક્રુઝ સુધી આ સ્થાનિક કન્યા આવી પહોંચે .
ડુંગરોની અંદર કોતરાયેલી ગુફાની અંદર ડોકિયું કરવા જેવું છે. વર્ષો પહેલા આવેલી એક પરવીન બાબીની એક બી ગ્રેડ ફિલ્મ (નામ નથી યાદ આવતું એમાં ફિલ્માવેલા ગીતમાં આવતી લાવાથી બનેલી ગુફાને હાંસીપાત્ર ઠેરવે એવી અદભૂત ગુફા તો જોવા કાયાકમાં જવું પડે.
મ્યુઝિકને ડાન્સ … કુકીંગ ક્લાસમાં વિયેતનામી વાનગી શીખવાનીદરિયામાં ધીંગામસ્તી ને એક ટાપુ પર હાઇકીંગ કરીને ઉપરથી આખા વ્યૂને માણવાનું ભગીરથ કામ પણ બાકી હતું . આ બધું ચોવીસ કલાકમાં પતાવવાનું હતું ને સુપર લક્ઝુરિયસ ક્રુઝમાં ઉપર આસમાન ને સામે ફેલાયેલા અફાટ દરિયાની મોજ જાકુઝીમાં સ્નાન કરતાં કરતાં માણવાની હતી. શું કરવું શું ન કરવું ? એક દિવસમાં આ બધું જ ? ને હા, ડિનર ટાઈમે લાઈવ મ્યુઝિક પણ બાકી …
અમારો મત તો છે કે બે દિવસ તો જરૂરી છે. પણ જેવો સમય ને જેવું બજેટ .
અમારી શિપના કેપ્ટને જણાવ્યું તે પ્રમાણે કુલ 1969 નાનામોટા ટાપુઓ આ હાલોન્ગ બેમાં છે. એમાં કેટલાક જ ટુરિસ્ટ માટે ખુલ્લા છે બાકી પર વસ્તી છે સ્થાનિકોની ને અમુક તો માત્ર ને માત્ર વિવિધ જાતિના વાંદરા , હરણ , પોપટ , અને અનેકવિધ પક્ષીઓ માટે જ છે.
આ આખો વિસ્તાર UNESCO દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઈટ તરીકે આરક્ષિત છે.
છેલ્લાં થોડા વર્ષોથી જ વિયેતનામે આ વિસ્તારને ટુરિસ્ટ માટે આકર્ષણ તરીકે ખુલ્લો મુક્યો છે.
ટાપુઓ, ડુંગર અને દરિયો આ આખું વાતાવરણ જ જબરદસ્ત છે. એને વર્ણવા માટે શબ્દ કરતાં ફોટોગ્રાફ વધુ ન્યાય કરી શકે.એમ છે.
Ladies Special
જાન્યુઆરી 15, 2018
આજકાલ આપણો મોસ્ટ ફેવરીટ એવો અક્ષયકુમાર સેનેટરી નેપકીન વિશેની વાત કરી રહ્યો છે. પેડમેન ફિલ્મ આવી રહી છે એટલે સ્વચ્છ ભારત અને હાઇજીન વિષે કેળવણી નિઃશંકપણે જરૂરી છે. જે આપણે ત્યાં તો છે જ નહીં . ગંદકી અને કામચોરી ભારતીય માનસમાં જાણે અજાણે એવા સેટ થઇ ગયા છે કે એમાં કોઈને નવાઈ પણ નથી લાગતી .
આ સમયે પ્રશ્ન એ થાય છે કે વિશ્વમાં કયો સમાજ સૌથી સુસંસ્કૃત?
પહેલા આ પ્રશ્ન થતો ત્યારે એક જ ઉત્તર મળતો, જે સમાજમાં પેપરનો ઉપયોગ સૌથી વધુ થતો હોય તે.
એટલે કે જે સમાજમાં અખબારથી લઇ પુસ્તકો વધુ વંચાય તે સમાજ સ્વાભાવિકપણે ઉચ્ચ કક્ષાનો હોવાનો. પણ, દરેક સમયને પોતાના નવા પરિમાણ હોય છે. જેમ કે હાલ સમય છે પેપરલેસ ઓફિસનો. નાનામાં નાની વાતોમાં કાગળનો, પાણીનો બચાવ કઈ રીતે કરવો તે હવે બાળકોને સ્કૂલમાંથી , નાનપણથી શીખવવું જરૂરી છે એમ સમજાતું થયું છે પણ છેલ્લાં દોઢ દાયકામાં આ પરિસ્થિતિ બદલાઈ ચુકી છે. આજે કાગળનો વેડફાટ અને બિનજરૂરી વ્યય કરનારાં લોકો હોય કે માધ્યમોને વક્રદ્રષ્ટિથી જોવામાં આવે છે. એમ કેમ ? એનો ઉત્તર છે માનવજાતે કરેલી ડિજીટલ ક્રાંતિ. એ ક્રાંતિએ કાગળ બચાવી શકાય એ એક પર્યાય આપ્યો અને કાગળ બચાવવો એટલે પાણી અને વૃક્ષ બચાવી પર્યાવરણનું જતન કરવું . પણ, આ જ સમયની એક વરવી બાજુ જુઓ. જે સભ્યસમાજમાં હવે કાગળ , પાણી , વીજળીના બચાવ માટે અભિયાન ચાલે છે બીજી તરફ સુધરેલા હોવાના માપદંડ તરીકે સ્ત્રીઓની સ્વતંત્રતાનું પ્રતીક લેખાવાય છે સેનેટરી નેપકીન્સને.
એક સમય એવો હતો કે આ પ્રોડક્ટની કોઈ ઓળખ જ નહોતી. વિદેશમાં ખરી પણ ભારતમાં તો નહીં જ. સદીઓથી બહેનો પરંપરાગત એવા જૂનાં કપડાં તે માટે વાપરતી. એ માટે ઠોસ કારણ પણ હતા. એક તો ઇન્ડિયામાં સેનેટરી નેપકીન્સ મળતાં જ નહીં અને બીજું કે મળતાં થયા ત્યારે કિંમત ભારે આકરી લાગતી. પરંતુ છેલ્લા થોડાં દાયકામાં રહેલાં કન્ઝ્યુમરીઝમના સમયમાં એ કિંમત મોંઘી લાગતી નથી , બલકે એ ક્ષેત્રે વધુ હરીફાઈ થવાથી કિંમત નીચે પણ આવી અને સસ્તી મોંઘી ઘણી રેંજ મળતી થઇ છે અને એટલે જ હવે જૂની રીત પ્રમાણે કપડાં વાપરવા ઓલ્ડ ફેશન લેખાતું ચાલ્યું છે. ઇન્ડિયામાં વિશાળ માર્કેટે મોટાભાગની મલ્ટીનેશનલ કંપનીઓને બખ્ખાં તો કરાવી આપ્યા ત્યાં સુધી તો વાત સમજાય એવી હતી પણ એક મહામોટી સમસ્યા નિર્માણ કરી દીધી છે. જેનાથી મોટાંભાગના લોકો અજાણ છે.
જો ક્યારેક દિલ્હીના ભલ્સ્વા વિસ્તારમાં જવાનું થયું હોય તો કદાચ આ પરિસ્થિતિનો સાચો ચિતાર આવી શકે. અલબત્ત , એવું જરૂરી નથી કે એ માટે આ જ વિસ્તારની મુલાકાત લેવી પડે. જ્યાં નગર હોય ત્યાં ઉકરડો તો હોય જ એ કહેવતને ન્યાયે પણ દરેક શહેરમાં વત્તે ઓછે અંશે પરિસ્થિતિ આવી જ હોવાની, પણ અહીની વાત એટલે નોંધનીય છે કે આ વિસ્તારમાં એક મહાકાય ઝુંપડપટ્ટી તો છે જ અને તે છે એક અનોખા ડુંગર નજીક. આ ડુંગર અનોખો એટલે છે કે ન તો એ સામાન્ય ડુંગર જેવો પથરાળ છે કે ન લીલોછમ છે, એ તો છે કચરાનો ડુંગર. આખેઆખો કચરાનો ડુંગર . જે માટે દિલ્હી કોર્ટના હુકમોની પણ ઐસીતૈસી થતી રહે છે. આ ડુંગર જો કૂડાકચરાનો જ હોય તો કોઈ ત્યાં કોઈ જતું હશે ખરું ? જો એવો પ્રશ્ન થતો હોય તો જવાબ છે , હા. એક આખી ઈકોનોમી અહીં નભે છે. એ લોકોને રોજગાર મળે છે જેમનું કામ છે કચરામાંથી રીસાઈકલ થઇ શકે તે ચીજવસ્તુ શોધીને વેચવાનું .
નકામી ખાલી બોટલ, ડબ્બા, ટીન ,બેટરીઓ ન જાણે આવું બધું તો કેટકેટલું . પણ એ શોધવા માટે આ અભાગિયા લોકોને ફેંદવા પડે છે એંઠવાડથી લઇ મરેલાં જાનવરના સડી ગયેલા મૃતદેહ અને મહિલાઓ દ્વારા વપરાયેલાં સેનિટરી નેપકીન્સ. સહુથી મોટી મુસીબત તો એ થાય છે કે મૃત પ્રાણીઓના શરીર નજરે ચડતાંવેંત લાકડીથી દૂર કરી દેવાય છે પણ આ નેપકીન તો અચાનક હાથમાં આવી જાય …… અને હા, એક મહત્વની વાત આ કામ પણ મોટાભાગે સ્ત્રીઓ જ કરે છે, પુરુષો નહિ.
એટલે આ કચરો ફેંદતી મહિલાઓને રહી રહીને એક જ પ્રશ્ન થાય છે કે બીજું કંઈ નહીં પણ આ સુધરેલી બાઈઓને એમ નહીં થતું હોય કે આ મલિનતા કશાકમાં વીંટીને ફેંકે?
સમાજની આ બહેનોના હિતમાં કામ કરતી સંસ્થાઓ જયારે આ પ્રશ્ન ભણેલી ગણેલી ઉપભોક્તા મહિલાઓને કરે છે ત્યારે એમને રેડીમેડ રીફાઈન્ડ જવાબ મળે છે : પ્લાસ્ટિક તો વપરાય જ નહિ ને ? પ્લાસ્ટિક પર્યાવરણ માટે કેવું હાનિકારક છે કોણ નથી જાણતું ?
જયારે આવો જવાબ મળે ત્યારે હસવું, રડવું કે જવાબ આપનારની બુદ્ધિની દયા ખાવી એ જ ન સમજાય.
પ્લાસ્ટીકનો નક્કર વિરોધ કરનારાઓને કોણ સમજાવે કે બજારમાં મળતાં મોટાભાગના નામી બ્રાન્ડેડ સેનિટરી નેપકીન્સ ક્રુડ ઓઈલ પ્લાસ્ટિકમાંથી બનેલાં હોય છે, જે નષ્ટ થવામાં વર્ષો લાગે છે. એટલે કચરો છૂટો પાડનારા કામદારો પર નહિ બલકે પર્યાવરણ પર ભયંકર અસર કરે છે. વોશરૂમ હાઈજીન કન્સેપ્ટ નામની સંસ્થા દાવો કરે છે તે પ્રમાણે તો આ નેપકીન્સ સંપૂર્ણપણે નાશ પામે એવી કોઈ શક્યતા જ હોતી નથી. એટલે પર્યાવરણની વાત કરનાર બહેનોએ આ વાત તો ચોક્કસપણે ધ્યાનમાં રાખવી જોઈએ .
ઇન્ડીયામાં માત્ર 12 ટકા મહિલાઓ આ પેડ્ઝ વાપરે છે.
પશ્ચિમી દેશોમાં આ સમસ્યા વર્ષોથી હતી અને તેમણે એનો રસ્તો શોધ્યો અનોખી રીતે , જેમ નુકસાનકારક માલસામાન ખાદ્યપદાર્થો ગરીબડાં દેશોને દાન ધર્માદા તરીકે કે પછી ઓછે ભાવે પકડાવી દેવાય ત્યારે સાથે સાથે એમને ત્યાં ડમ્પિંગ ગ્રાઉન્ડ માટેની જોગવાઈ પણ કરી લેવાય . ભારતમાં તો આ વાત છે નહીં . અત્યાર સુધી ખાસ કરીને આ પ્રકારના કચરાનું પ્રમાણ પણ નગણ્ય ટકાવારીમાં હતું .પણ છેલ્લાં એક જ દાયકામાં પરિસ્થિતિ બદલાઈ ચૂકી છે. હવે આપને ત્યાં શિક્ષિત હોવું એ વાત ને સેનેટરી નેપ્કીન્સના વપરાશ સાથે જોડી દેવામાં દેવામાં આવી છે. તે છતાં પરિસ્થિતિ આશ્વાસનરૂપ છે કારણકે હજી ઇન્ડીયામાં માત્ર 12 ટકા મહિલાઓ આ પેડ્ઝ વાપરે છે. જો કે એ ટકાવારી, વધતી જાય છે. ટીવી પર આવીને જાણીતી ફિલ્મસ્ટાર કે સ્પોર્ટ્સ પર્સનાલિટી આખી આ વાતને આધુનિકતા સાથે , શિક્ષણ અને સ્વતંત્રતા સાથે જોડે તો પછી એની માનસિકતા પર થતી અસર કલ્પી શકાય છે.
ભારતમાં માત્ર 12 કે 13 ટકા મહિલાઓ પણ જો આ પેડ્ઝનો વપરાશ કરતી હોય તો ગણિત માંડી જોવા જેવું છે. એક સામાન્ય સ્ત્રી પોતાના 35થી 40 વર્ષના પ્રજનનકાળમાં લગભગ આઠ થી દસ હજાર નેપકીન્સનો વપરાશ કરે તો હિસાબ માંડો, એ હિસાબે પ્રતિ કલાક એક કરોડ નેપકીન્સ કચરામાં ઠલવાય છે, જે એક નેપ્કિનને સંપૂર્ણપણે નામશેષ થતાં લગભગ 500 વર્ષ લાગે છે.
કોઈ નેપકીન ઉત્પાદક ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ સાથે બજારમાં ઉતર્યો નથી. તો જવાબદારી કોની?
ખરેખર તો પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ એન્ડ હેન્ડલિંગના નિયમોમાં સ્પષ્ટતા થઇ છે તે પ્રમાણે જવાબદારી આ કંપનીઓની બને છે , પણ જવાબદારી અંગે નિયમનો બનાવવા એક વાત છે અને તે નિયમનોનું પાલન થાય છે કે નહીં તે અંગે ચોંપ રાખી કડક પગલાં ભરાય બીજી વાત છે. વિદેશમાં આ માટે અતિશય ભારે દંડની જોગવાઈ છે જે વિષે આપણે ત્યાં કોઈ પ્રકારની જાગૃતિ પણ નથી. એટલે છેલ્લે થાય છે એમ કે આ કચરો સીધો સળગાવી દેવામાં આવે. કચરો રાખથી ગયો એટલે નદીનાળાં શુધ્ધ રહે અને પર્યાવરણ પણ એમ માની લેવું પણ ભૂલ છે. આ કચરો જયારે સળગે ત્યારે એમાંથી જે ગેસ વાતાવરણમાં ભલે છે તે કેન્સર જેવી બીમારી નોતરે છે.
તો તો પછી સમાધાન શું?
એવો પ્રશ્ન થાય તો ઉત્તર તો છે પણ કદાચ મોટાભાગના વાચકોને નહીં ગમે. સમાધાન છે આપણી જૂની પધ્ધતિ પાસે. જેને ટીવી એડ્ઝ એકદમ દેશી જૂનવાણી રીત તરીકે દર્શાવી ઉતારી પાડવાનો પ્રયાસ કરે છે તે. સામાન્ય રીતે સ્વચ્છ કપડાંનો વપરાશ, જે સરખી રીતે ધોઈને ફરી ફરી વપરાય છે, જેજેમ જૂના સમયમાં આપણી મા દાદી નાની વાપરતાં. હા, બેશક એ થોડું અગવડદાયક કામ ખરું , જો એટલું પણ ન કરવું હોય તો ઘણી ઇન્ડિયન કંપનીઓ આ પ્રકારના પ્લાસ્ટિક વિનાના , બાયોડીગ્રેડેબલ ટાઇપના નેપકીન્સ બનાવે છે, અને તે એકથી વધુવાર વપરાશમાં પણ લઇ શકાય . અમારા એક રોટેરીયન મિત્ર જયશ્રી શેનોય આ માટે અતિ સક્રિય રોલ ભજવે છે. મહારાષ્ટ્રમાં વાડામાં આનું ઉત્પાદન પણ નાના પાયે થાય છે.
આજકાલ વિશ્વભરમાં આ સમસ્યાએ માઝા મૂકી છે, દરેક નાગરિક અને સરકાર ઈચ્છે છે કે તેમનો દેશ આ ગંદકીથી દૂર રહે એટલે નવા પર્યાયરૂપે હવે મેન્સ્ટ્રુઅલ કપ્સ મળે છે. જે સિલિકોનમાંથી બને છે. બાળકોને દૂધ પાવા માટે વપરાતી સિલિકોન નીપલ જેવા જ, જે વર્ષો સુધી સાફ કરીને વાપરી શકાય છે.
દુર્ભાગ્યવશ આ વિષે જાણકારી આપી ને પર્યાવરણ બચાવવાનું મીડિયાને સમજાતું નથી એટલે એ વિષે ખાસ જાગૃતિ નથી. તેથી ઉપભોક્તા સુધી પહોંચતા નથી એટલે એનું વેચાણ પણ મર્યાદિત રહે છે અને તે કારણે તેમને મોંઘી ટીવી જાહેરખબરો પોષાતી નથી. આ વિષચક્ર પણ ભારે પેચીદું છે. માન્યું કે પર્યાવરણની જાળવણીની જવાબદારી સરકારની છે પણ જો એ બગડવાનું નિમિત્ત આપણે બનતાં હોઈએ તો માત્ર સારાં નાગરિક તરીકે નહીં પણ પાપના પ્રાયશ્ચિતરૂપે તો નિભાવવી રહીને ??
સૌથી સારી વાત છે આ વિશેની જાગૃતિની , હવે અક્ષયકુમાર બાયોડિગ્રેડેબલ પૅડ્સની વાત કરે કે કપ્સની કે પછી માત્ર સ્ત્રીઓના ફ્રીડમ સાથે પર્યાવરણનો મુદ્દો વિસરાઈ ગયો છે એ તો ફિલ્મ જઈએ ત્યારે ખબર પડે.
ધૂઆં ધૂઆં ઔર મજેદાર પ્યાજ કી કચૌડી, ગુલાબ જલેબી ઔર કુલ્લડ કી મસાલા ચાય
આમેર આમેર છે :બિલકુલ અનોખો , જાજરમાન …એક ચીરકાલીન યુવાન માનુની જેવો ,
દ્વારા Pinki Dalal December 22, 2017
જયપુર જવાનું હોય ને ત્યાં આમેર ફોર્ટની મુલાકાત ન લેવાય તો શું થાય ? હીરો ઘોઘે જઈ આવ્યો એવો ઘાટ અમારે નહોતો કરવો એટલે આમેરની મુલાકાત માટે જે થાય તે કરવા તૈયારી હતી.
જયપુર લગ્નમાં મ્હાલવા તો જવાનું નહોતું . કોન્ફરન્સ ને ઉતારો હતા જયપુરથી 45 કિલોમીટર દૂર આવેલી હોટેલમાં . આમેર કિલ્લાની મુલાકાતમાં હતા ગણતરીના કલાક, ગણીને કહેવું હોય તો ત્રણ કલાક .એ મોકો ઝડપી લીધો થોડા કચવાટ સાથે, કચવાટ શેનો એ વાત છેલ્લે .
જો કોઈને જોધા અકબર ફિલ્મમાંના થોડા સીન્સ યાદ હોય કે પછી બાજીરાવ મસ્તાનીમાં મસ્તાની બાજીરાવને પાનબીડું આપવા આવે છે , નૃત્યના સીન. એ બધા આમેરમાં ફિલ્માવેલા છે તેની પ્રતીતિ પ્રવેશ સાથે થઇ જાય.
પિન્ક સિટીના જાજરમાન અસ્તિત્વ સાથે મેળ ખાતો બાહુબલી કિલ્લો ને એની બજાર પણ. જયપુર શહેરથી 11 કિલોમીટર દૂર આ કિલ્લામાં જવા પૂર્વે વટાવ્યું ઝવેરી બજાર. આમેરની મુલાકાત ચૂકી ન જવાય એટલે તો સવારની 5.25ની ફ્લાઇટ પકડી હતી . ઘરેથી નીકળવાનું હતું 3.30 એટલે રાત્રે મટકું પણ નહોતું માર્યું . આમેર જવા નીકળ્યા ત્યારે વચ્ચે આ ઝવેરી બજાર આવ્યું ત્યારે એક ઝોકું આવી ગયું હતું . ગુમાવવાનું કશું નહોતું કારણકે સવારનો સુમાર હતો , આઠ વાગી રહ્યા હતા. એક પણ દુકાન અગિયાર પહેલા ખુલે નહીં એટલે લાઈનબંધ બંધ દુકાનોને જોઈને જ અટકળ લગાવી લેવી પડી કે સાચે હ ઠાઠબંધ બજાર હતું . શક્ય છે દેશભરમાંથી જડાઉ ને પાચીકામના દાગીના ખરીદવાવાળા લાલાઓ અહીં ઉતરી પડતા હશે.
બજારમાં રખડવાનો મોકો તો મળ્યો પણ આમેર કિલ્લાએ જલસો કરાવી દીધો . આમ પણ અમારા જેવા ઇતિહાસપ્રેમીઓ માટે તો ટ્રીટ કહી શકાય એવો. હિન્દૂ અને મુસ્લિમ સ્થાપત્યના સંગમ જેવો .
આમેર ફોર્ટ છે ઊંચા પર્વતો પર બનેલો, દૂરથી આવકાર આપતો હોય તેમ ચીનની ગ્રેટ વોલની લઘુ આવૃત્તિ જેવી ચઢતી ઉતરતી દિવાલો દૂરથી નજરે ચઢે. આ કિલ્લાનું નામ પડે એટલે અકબરના નવ રત્નોમાં એક લેખાતાં રાજા માનસિંહ યાદ આવે. આમેરમાંથી શાસન ચલાવનાર પ્રથમ રાજવી પણ આ કિલ્લો બનાવનાર તો હતા, મીણા કોમ. આજે અંગ્રેજી પ્રભાવને કારણે સહુ એમને મીના મીના કરે છે તે કોમ. કચવાહ કે પછી કુછવાહ સમયમાં આ આમેરનું અસ્તિત્વ હતું પણ એક નાના મહેલ જેવું. એમાં રાજા જયસિંહે વર્ષો સુધી રાજ કર્યું. મીણાઓએ આ મહેલ બનાવ્યો હતો રાણી ગટ્ટાદેવી માટે . જેનું નામ સુધ્ધાં ઇતિહાસમાં નથી જડતું . એ પછી હાલમાં છે હાલમાં છે તે કિલ્લો અસ્તિત્વમાં આવ્યો, મૂળ મહેલની આસપાસ . કુછવાહ રાજા માનસિંહે નિર્માણ કરાવ્યો હતો. ત્યારે આજે જે જોવા મળે છે તે બધી ઓર્નામેન્ટલ સ્ટાઇલ ડેકોરેશન શૈલી ઉમેરાઈ . એ સમયે આમેર રાજધાની હતી. પાછળથી જયપુર વિકસ્યું ને અમેરનું મહત્વ ઘટ્યું .
હા, એટલું તો નિશ્ચિત છે કે માનસિંહે એને એક અનોખી ગરિમા બક્ષી . જેને કારણે આજે પણ વિદેશી ટૂરિસ્ટ્સના વિશ લિસ્ટમાં એ મોખરે હોય છે. એના કેટલાંક ઠોસ કારણ હોય શકે. એક તો અકબરના રાઈટ હેન્ડ હોવાથી આવકની કોઈ કમી ન હોય શકે બીજું હાથ છુટ્ટો હોય એટલે હિન્દૂ ને મુસ્લિમ કારીગરોને મોકલું મેદાન આપી શકાયું હશે. આમ તો આમેર કિલ્લો હિન્દૂ સ્થાપત્યકલાનું પ્રતીક છે જ્યાં જુઓ ત્યાં કોતરણીવાળા દરવાજા , શાખ , કમાન, ઝરુખા ને તળાવ છે ત્યાં મુસ્લિમ કારીગીરી પણ છલકે છે. એ કલાત્મક માહોલ દીવાલો પર અંકિત થયેલો છે। લાલ પથ્થરને આરસની દીવાલો સાથેનું આંગણ , દીવાને આમ દીવાને ખાસ શીશ મહેલ અને જય મંદિર , એ ઈન્ડો અરેબિક, સાર્સેનિયન સ્ટાઇલ છે. કદાચ આ જ કારણે આમેર કિલ્લા જેવો ઓછો અને એક મહેલ જેવો વધુ લાગે છે.
ગણેશદ્વાર પર શોભતા ગણેશ
કિલ્લાના પ્રવેશદ્વાર પાસે જ ગણેશદ્વાર પાસે એક મંદિર છે. ગાઈડના કહેવા પ્રમાણે એ મા કાલીનું મંદિર છે. એવું મનાય છે કે ત્યાં ઈચ્છા પ્રગટ કરનારની ઈચ્છા ફાળે પણ છે. આ લોકવાયકા હોય શકે , ઇતિહાસમાં આ મંદિરમાં સ્થાપિત દેવી છે સિલા , ચૈતન્ય પંથના દેવી , એ કાલી હોય શકે , કારણ કે આ મંદિર રાજા માનસિંહે 1604માં બંગાળમાં જૈસોર પર જીત મેળવેલી ત્યારે પોતે નિર્માણ કરાવ્યું હતું.. (જૈસોર તમને ઇન્ડિયાના નકશામાં નહીં દેખાય , એ હવે બાંગ્લાદેશનો ભાગ છે)
એક સૌથી આરામપ્રદ છે સુખ નિવાસ , જ્યાં હંમેશા ઠંડી હવાની લહેરખી ઘૂમતી રહે છે. ને વળી શીશ મહેલ , કોઈ પણ કલ્પનાથી પર. એની કામણગારી કલા કારીગીરી પાર આફ્રિન ન થવાય તો નવાઈ . એ કાચથી મઢ્યો છે જ એ રીતે કે માત્ર એક દીવો એક સાથે હજાર દીવાનું કામ કરે.
ઠંડી હવાની લહેરખી ફરતી હોય ને વાતાવરણમાં ખસની સાદડીની ખુશ્બુ , આકાશમાં ટમટમતાં તારા ને નીચે માત્ર એક દીવાથી ઝળઝળાં થતો મહેલ ,
એ સમયે આખું વાતાવરણ કેવું હશે માત્ર કલ્પના કરી જોવાની .
અમારો ગાઈડ ઝીણું કાંતવાનો આગ્રહી લાગ્યો . સુખનિવાસ પેલેસમાં નાના નાના પેસેજ છે. ગાઈડે અમારા જ્ઞાનમાં વૃદ્ધિ કરતા જણાવ્યું કે રાજા માનસિંહ ને 12 રાણીઓ હતી. (અમે એકવાર બીલીવ ઈટ ઓર નોટમાં વાંચ્યું તે પ્રમાણે માનસિંહને 1500 રાણીઓ ને 4000 સંતાનો હતા ) એ જે હોય તે પણ ગાઈડે કહ્યું તે પ્રમાણે આ નાના સાંકડા પેસેજ માત્ર રાજા જ ઉપયોગ કરતાં , શા માટે ?
રાજા રાત્રે કઈ રાણી સાથે હશે એ ગોપિત રહે એટલે બનાવાયેલી ભૂલ ભૂલૈયા
તો એ કારણ હતું કે અન્ય રાણીઓ જાણી ન શકે કે રાજાજી આજે કયા રાણીજી સાથે છે. વાત તો સામાન્ય લાગી પણ એટલું તો સાચું કે રાજા હોય કે રંક ડરવું તો પડે જ બોસ, પત્નીથી ડરવું પડે.
રાજા માનસિંહ અકબરથી , તે વખતે સંપર્કમાં આવેલા પોર્ટુગીઝથી ભારે ઈમ્પ્રેસ થયા હોવા જોઈએ . જૂના ટર્કીશ બાથ જેવા ને પશ્ચિમી ક્લચરમાં જોવા મળે તેવા જાકુઝી બાથ (હમામ) ને ટોયલેટ પણ બનાવેલા છે.
રાણીવાસમાં છે જાકુઝી બાથ (હમામ) અને લેટ્રીન
એક વાત તો માનવી જ પડે કે આ કિલ્લો જોઈને દિલ બાગ બાગ થઇ જાય. હાલમાં ડિપાર્ટમેન્ટ ઓફ આર્કિયોલોજી દ્વારા થયેલા સર્વે પ્રમાણે લગભગ રોજ 5000થી વધુ ટુરિસ્ટ આ આમેર ફોર્ટ જોવા આવે છે. 2013માં થયેલી 37મી હેરિટેજ મીટિંગમાં રાજસ્થાનના જે પાંચ કિલ્લાને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સ્થાન મળ્યું તેમાં આમેર શામેલ છે. જયગઢ કિલ્લા સાથે આ મહેલ એક જ કોમ્લેક્સ મનાય છે. જેમાં રહેલા ગુપ્ત માર્ગનો ઉપયોગ કટોકટીના સમયે રાજ પરિવારના સભ્યોને ઉગારવા સુરંગ વાતે બહાર કાઢવાનો હોય છે. આમેર કિલ્લાનો આ ગુપ્ત રસ્તો જયગઢ કિલ્લાની રાંગ સુધી જાય છે, જે મહેલથી જોજનો દૂર પહાડી પર ચઢે ઉતરે છે , પણ અમારા ઉત્સાહી ગાઈડના કહેવા પ્રમાણે આ સુરંગ દ્વારકા ગુજરાત જાય છે. લો બોલો , જયપુર મુંબઈ ફલાઇટ બે કલાકની હોય તો પગપાળા સુરંગમાં ચાલતા જવા કેટલો સમય લાગે એ આપણે વિચારી લેવાનું .
આમેરનું નામકરણ થયું હતું મા અંબાના નામ પર. જેઓ મીણાઓની કુળદેવી પણ લેખાય છે.
સૌથી મોટું આકર્ષણ છે શીશ મહેલ , જે અકબરનું જઈને માનસિંહે બનાવડાવ્યો હશે એમ માનવું વ્યવહારુ લાગે છે. આમેરની ઝલક નીચે તળાવમાં પડે છે ( એક ચોક્કસ એન્ગલથી ) બેહદ સુંદર લાગે છે.
સૌથી ઇન્ટરેસ્ટિંગ છે ઉપર જવાનો રસ્તો . તમને એક દિવસના રાજા બનાવી દે, હાથી પર લાલ કિનખાબ ને સોનેરી અંબાડી ને મોટાભાગના ગોરાં ટુરિસ્ટો જ અગાઉથી બુક કરી લે છે . બીજો રસ્તો છે ત્યાંથી જીપ ઉપર સુધી જઈ શકે છે.
એક સમયે મહેલમાં થયેલું ચિત્રકામ એમાં સાચા સોનાને પીગાળી સોનેરી રંગ બનાવીને પૂરાયો છે. હવે એવું એકમાત્ર ફૂલ બચ્યું છે બાકીના ફૂલમાંથી સોનું ગાયબ છે.
પણ જે હોય તે આમેર આમેર છે , રાજસ્થાનના ઘણાં કિલ્લાઓ પૈકી એક , બિલકુલ અનોખો , જાજરમાન …એક ચીરકાલીન યુવાન માનુની જેવો , એ જુઓ તો જ સમજાય .
હાલ ને જાઈયે ગામડે
દ્વારા Pinki Dalal November 22, 2017
એક જમાનો હતો , ગુજરાતી ફિલ્મો એટલે ભાભુ ઢોર ચારતાં જેવી ફિલ્મો . ચોયણી ને કળીબંધ ચુડીદાર , માથે સાફો , રંગરસિયા કલરફુલ પાઘ પહેરે , બસ એટલો જ ફેર. ગામડાની ગોરી એટલે ઘમ્મરિયાળો ઘાઘરો , લાલ બાંધણી , લહેરિયા , એમાં પણ માથે ઓઢ્યું હોય , હાથમાં બલોયા , ગાળામાં હાંસડી , પગમાં કડલાં , માથે બેડું …
હવે એ યુગ ફિલ્મોમાંથી પણ ગયો તો રિયલ લાઈફની તો શું વાત કરવી ?
પણ જો, એક દિવસ એ વાતાવરણમાં રહેવાની મોજનો વિકલ્પ મળે તો ?
ગુજરાતમાં હોય તો જાણ નથી પણ દિલ્હી પાસે એ વિકલ્પ મળે. અલબત્ત, વાસ્તવિક તો નહીં પણ વાસ્તવિકતાની એકદમ નજીક.
દિલ્હીની અમારી ટ્રીપનું સ્ટાર અટ્રેક્શન જ હતું આ પ્રતાપગઢ ફાર્મ . હોલીડે એટલે મોલ, મલ્ટીપ્લેક્સમાં મૂવી કે પછી પબ હૉપિંગ નહીં. ગામડાનો અનુભવ અને એની મઝા માત્ર એક દિવસ માટે .
જઝ્ઝર રેલવે સ્ટેશન નજીક આવેલું પ્રતાપગઢ ફાર્મ છે તો હરિયાણામાં , પણ દિલ્હીથી માત્ર બે કલાક દૂર. એક એવી જગ્યા , જે પ્રકૃતિની મનોહર સુંદરતાને પ્રાકૃતિક દ્રષ્ટિથી સુંદર બનાવે છે, દિલ્હીવાસી માટે સૌથી નજીકના પિકનીકના સ્થળમાનું એક. જે આમ તો એક વિશાળ રિસોર્ટ છે , તે પણ ઈકો ફ્રેન્ડલી .
ભારતના ગ્રામીણ સંસ્કૃતિ , જનજીવનની આબેહૂબ પ્રતિકૃતિ . ગાય, ભેંસ, ઘેંટા , ઊંટ, બતક ,એમુ જેવા પ્રાણી ને પક્ષી બાળકોને અનુભવ અને સમજ આપે છે તો મોટાઓ માટે જબરું એમ્યુઝમેન્ટ .
જોવાની ખૂબી તો એ છે કે જયારે આવા કોઈ રિસોર્ટમાં જઇયે ત્યારે ખ્યાલ આવે કે આપણે કુદરતથી , વ્યાયામભરી જિંદગીથી કેટલા જોજનો દૂર છીએ. શિનચેન ને પોકીમોન સાથે ઉછરેલી પ્રજા આશ્ચર્ય અને તેમના માતાપિતાને ગ્રામીણ ભારતમાં જીવન વિશે પૂછે છે, પણ માબાપ પણ શું કરે ? એમને ય આ વિષે ભાગ્યે જ માહિતી હોય છે. વાત કોઈ અલગ નથી. ખેતી, ગ્રામ્ય જીવન , તંદુરસ્તીભરી , વ્યાયામયુક્ત જિંદગી તો આપણે સાપને સપનામાં પણ જોઈ નથી.
પ્રતાપગઢ ફાર્મ્સનો હેતુ તે જ અનુભવ ટુરિસ્ટ સહેલાણીઓને ગ્રામ્ય રહેણીકરણીનો આસ્વાદ કરાવવાનો છે. એટલે જ અમે, પ્રતાપગઢ ફાર્મની મોજ મનવા દિલ્હી ટ્રીપ પ્લાન કરી હતી. પગમાં રોલર સ્કેટ્સ પહેર્યાં હોય તેમ દર મહિને અલગારી રખડપટ્ટી કરનાર અમારા ટ્રાવેલર ફ્રેન્ડ સુનિલ ને નીલા મહેતા વિષે અગાઉ લખી ગઈ છું. એ બે સિવાય પ્રતાપગઢ ફાર્મ અમારે માટે નવું હતું .
દેશના ગ્રામ્યજીવનથી પ્રેરિત રીતરિવાજો ખાણીપીણી અને મનોરંજન પ્રવૃત્તિઓ અમારી રાહ જોતી હતી.
ભારતની 60 ટકા વસ્તી જે રોજગાર પર નભે છે એ પ્રવૃત્તિઓ પહેલી નજરે ભલે મનોરંજક લાગે પણ એક દિવસમાં જ સમજાય કે ખેડૂતનને જગતનો તાત કેમ કહેવાય છે.
માત્ર કૃષિ જ નહીં , એ સાથે જોડાયેલી આજીવિકાની પ્રવૃત્તિ જ કેટલી મહેનત માંગી લે છે. ખેતીનું , પર્યાવરણનું અને જનજીવનનું મહત્વ જાણી શકે એટલે દિલ્હીની ઘણી સ્કૂલ બાળકો માટે વન ડે પિકનિક આયોજન કરે છે.
અમારી સફર શરુ થઇ સવારના બ્રેકફાસ્ટથી રોટલા , એની પર તાજું કાઢેલું દેશી માખણ ,તળેલાં મરચાં ને આચાર સાથે . દેશી રજવાડી ચા , ભજીયા ને છાશ અનલિમિટેડ . પેટ ફાટી જાય ને મન તર થઇ જાય ત્યાં સુધી ખાઓ ને પીઓ .
પછી વારો આવ્યો રોજિંદી પ્રવૃત્તિ જે ગામમાં સ્વાભાવિક હોય છે પણ શહેરવાસી માટે એકદમ નવો અનુભવ . ઊંટ સવારી , બેલગાડી સવારી, ટ્રેકટર સવારી તો હજી સમજ્યા પણ દરણાં દળવાનો અનુભવ , ફોટા પડાવવા પૂરતો સારો લાગે પણ દોઢ મિનિટમાં કમર ઝલાઈ જાય.
એવો જ અનુભવ માખણ વલોવવાનો, પાણી ભરવાનો , રેંટિયો કાંતવાનું ઘણું અઘરું નથી , ચપ્પા ચપ્પા ચરખા ચલે જેવું પણ વધુ મસ્તી નહીં ને વધુ મજા પણ નહીં . એમાં સૌથી વધુ ઇન્ટરેસ્ટિંગ હતું રાઇફલ શૂટિંગ . નિશાનેબાજ હોવું એટલું મુશ્કેલ પણ નથી.
હળ ચલાવવું , વાવણી , લણણી ને જેનું પ્રવૃત્તિનું નામ પણ નથી એવી બધી ખેતી વિષયક પ્રવૃત્તિમાં જલસો કરીને થાક્યા હો તો
અનલિમિટેડ ફૂડ રાહ જતું હોય. પંજાબી, ચાઈનીઝ, પાવભાજીથી લઇ થોડું ફાસ્ટ ફૂડ , અલબત્ત આપણે દિલ્હી પંજાબમાં હોઈએ તો બીજું કંઈ ખવાય ? જલસો પડે સરસોં દા સાગ ને મક્કા દી રોટી , મિર્ચી ને આચાર સાથે . ડિઝર્ટમાં જલેબી , દૂધમાં બોળીને ખાવાની . શેરડી ,મોળાં મૂળાં ખાવાની મોજ તો એટલી પડી હતી કે લાગ્યું કે રાત્રે નક્કી તબિયત બગડી જશે.
ગામના વાતાવરણમાં ડિસ્કનું આકર્ષણ પણ યુવાપેઢીને આકર્ષવા રખાયું હોય એમ લાગ્યું . એમાં પ્લે થઇ રહ્યા હતા માત્ર ને માત્ર પંજાબી પૉપ સોંગ્સ , એની પાર ઝૂમી રહેલા સ્કૂલના ભૂલકા ને ટીન એજર્સ , એ પણ જોવાનો લ્હાવો છે. વાતાવરણમાં ઉર્જા જ ઉર્જા .
મ્યુઝિક, ડાન્સ, ફન, એન્ટરટેઇનમેન્ટ , એન્ટરટેઇન્મેન્ટ એન્ડ એન્ટરટેઇન્મેન્ટ …..
એક વણમાગી સલાહ , ક્યારેય પણ દિલ્હી જવાનું થાય તો આ જલસો કરવાનો ચુકતા નહીં .
મોહક હોલીડે ગામ પર એક અનન્ય જલસાનો અનુભવ વર્ષોવર્ષ જીવંત રહેશે એ નક્કી – ચારેબાજુ હરિયાળી , શિયાળાની છડી પોકારતું ધુમ્મસ , ગારાના ભૂંગા , ઝૂંપડી અને, શાંત તળાવ , વર્ષો સુધી નહીં ભુલાય …..